આજે વ્હેલી સવારે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સાનિઘ્યમાં હોમાત્મક યજ્ઞ અને પુજા-હવન કરાયા, સાંજે ૫ વાગ્યે સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છ દ્વારા દયાશંકર બ્રહ્મપુરીમાં વૈદિક હવન અને મહાઆરતી કરાશે
ભગવાન વિષ્ણુના દશાવતારમાં છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનો જન્મોત્સવ જામનગર સહિત સમગ્ર હાલારમાં સાદગીપૂર્વક ઉજવાઇ રહ્યો છે, બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમો પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રઘ્ધાંજલી આપવાના આશ્રયથી આ કાર્યક્રમ રદ કરાયા છે ત્યારે આજે સવારે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરમાં દિવ્યાંગ બાળકોના સાનિઘ્યમાં હોમાત્મક યજ્ઞ અને પુજા-હવનનો કાર્યક્રમ થઇ રહ્યો છે, સાંજે ૫ વાગ્યે દયાશંકર બ્રહ્મપુરીમાં સમસ્ત બ્રહ્મસમાજ શહેર-જિલ્લા (સૌરાષ્ટ્ર્ર-કચ્છ) દ્વારા હોમાત્મક યજ્ઞ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
અગાઉ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રા રંગેચંગે પુરી થાય તે માટે અથાગ પ્રયત્નો કર્યા હતાં, એટલું જ નહીં આ વખતે બહેનોને સંચાલન સોંપવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ બદલતા આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્રેતા યુગમાં બે ઇશ્ર્વરીય અવતારો રામ અને પરશુરામ સાથે પરશુરામને અમરત્વનું વરદાન મળ્યું છે, પરશુરામનું મુળુ નામ રામ હતું પરંતુ ભગવાન શિવે તેમને પરશુ એટલે કે (કુહાડી પ્રકારનું દિવ્ય શસ્ત્ર) આપતા પરશુરામ નામ થયું. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા પુરાણોમાં તેમની કથાનું વર્ણન છે, તેમણે ૨૧ વાર પૃથ્વી પર સંહાર કર્યો તેમાં શાસ્ત્રો અનુસાર માત્ર દુરાચારી, પાપી, ધમંડી રાજાઓનો નાશ કર્યો અને એક માત્ર ધર્મ રક્ષાના ઉદેશ્યથી આ કર્યો હતો.
જામનગર શહેરમાં ઓમ ટ્રેનીંગ સેન્ટરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઇ દવે, ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડીમ્પલબેન મહેતા સહીતના અગ્રણીઓની હાજરીમાં પુજા અને હવનનો કાર્યક્રમ યોજાયો હતો, આજે સાંજે ૫ વાગ્યે સમસ્ત બ્રહ્મસમાજ, સૌરાષ્ટ્ર-કચ્છ દ્વારા દયાશંકર બ્રહ્મપુરીમાં પુજન-અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તમામ લોકોને હાજરી આપવા જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, શહેર પ્રમુખ આશીષ કંટારીયા, શોભાયાત્રાના ક્ધવીનર મનીષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, મહામંત્રી વૈશાલીબેન જોશી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જોશી, યુવા પાંખના જશ્મીન ધોળકીયાએ પુજા વિધીમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે.
ખંભાળીયા, જામજોધપુર અને કાલાવડમાં પણ ભગવાન પરશુરામના જન્મોત્સવની સાદગીભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્રોલ, જોડીયા, ભાણવડ, કલ્યાણપુર, લાલપુર સહિતના વિસ્તારોમાં પણ પુજન વિધી થઇ રહી છે. આમ જામનગર સહિત સમગ્ર હાલારમાં ભગવાન પરશુરામનો જન્મોત્સવ સાદાઇભેર ઉજવાઇ રહ્યો છે.