સર્વેશ્ર્વર ચોકનું શિવમ કોમ્પ્લેક્સ ફરી ધમધમ્યું મહાપાલિકાએ સાત શરત સાથે મંજૂરી આપી

  • September 28, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં પોશ બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં એક વર્ષ પૂર્વે ગણેશોત્સવની ઉજવણી દરમિયાન બેકાબુ ભીડ ઉમટતા વોંકળાનો 40 વર્ષથી વધુ જૂનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી, ત્યારબાદ મહાપાલિકા તંત્રએ સલામતીના ભાગરૂપે તાત્કાલિક શિવમ કોમ્પલેક્ષમાં આવેલી તમામ દુકાનો, શોરૂમ અને ઓફિસો બંધ કરાવી હતી તેમજ મિલકતો સીલ કરી હતી. દરમિયાન છેલ્લા ઘણા સમયથી થતી લગાતાર રજૂઆતો અને મિલકતના માલિકો દ્વારા રજૂ કરાયેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતની બાબતોને ધ્યાને લઇને તાજેતરમાં શિવમ કોમ્પ્લેક્સ ફરી કાર્યરત કરવા સાત શરતોને આધિન મંજૂરી આપવામાં આવી છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સાત શરતોને આધીન મિલકતનો વપરાશ કરવા મંજૂરી આપવામાં આવી છે જેમાં (1) આ બિલ્ડીંગમાં કોઈપણ નવું બાંધકામ કરી શકાશે નહી. (2) આ બિલ્ડીંગમાં હૈયાત દુકાન-ઓફિસમાં કોઇપણ જાતનું રીનોવેશન કરતા પહેલા સ્ટ્રક્ચર એન્જીનીયરની નિમણુંક. કરવાની રહેશે તથા તેમના અભિપ્રાય અનુસાર કામગીરી કરવાની રહેશે. તેમજ તેની જાણ રાજકોટ મહાનગરપાલિકાને અગાઉથી કરવાની રહેશે.(3) આ બિલ્ડીંગમાં અત્રેથી મંજુર થયેલ પ્લાનથી કોઇપણ પ્રકારનું વધારાનું બાંધકામ હશે તો તે દૂર કરાવવાનું રહેશે. (4) રાજકોટ મહાનગરપાલિકામાં દર વર્ષે માન્ય.સ્ટ્રકચર એન્જીનીયરશ્રી પાસે બિલ્ડીંગની સ્ટેબીલીટી ચકાસણી કરાવી રીપોર્ટ રજુ કરવાનો રહેશે. (5) બંને બિલ્ડીંગના પેસેજ પાસેનો રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જગ્યાનો ઉપયોગ કરી શકાશે નહી અને તેને રેલીંગથી બેરીકેટીંગ કરી આપવાનું રહેશે.(6) બિલ્ડીંગ નીચેનાં વોટર-વે માં કોઇપણ પ્રકારનો કચરો કે બાંધકામ વેસ્ટેજ કોઇપણ ન નાખે તેની તકેદારી રાખવાની રહેશે.(7) દર ચોમાસા પહેલા વોકળાની સફાઇ સ્વખર્ચે કરાવવાની રહેશે. સફાઇની કામગીરી દરમિયાન કોઇપણ જરૂરીયાત ઉભી થાય તો રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જાણ કરવાની રહેશે.


કોમ્પ્લેક્સ નીચેના વોંકળાની સફાઇ દર વર્ષે સ્વખર્ચે કરાવવાની શરત સામે વાંધો રજૂ
શિવમ કોમ્પ્લેક્સ બિલ્ડીંગ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ રાજપુત દ્વારા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી શરતી મંજૂરીમાં રહેલી શરત નં.7 કે જેમાં દર ચોમાસા પહેલા વોંકળાની સફાઇ એસો.દ્વારા સ્વખર્ચે કરાવવાની રહેશે તેવી તરત સામે લેખિત વાંધો રજૂ કરવામાં આવ્યો છે અને આ શરત કોઈ પણ સંજોગોમાં માન્ય નહીં હોવાનું જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application