જામનગર બંદોબસ્તથી પરત ફરી રહેલા શાપર વેરાવળના કોન્સ્ટેબલને અકસ્માત નડયો: મોત

  • March 05, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ ગોંડલના બેટાવડના વતની અને હાલ ગોંડલમાં રહેતા શાપર વેરાવળના કોન્સ્ટેબલ વિનોદભાઇ લાલકીયા જામનગર બંદોબસ્તમાંથી ઘરે પરત ફરતા હતાં.ગોંડલમાં ઉમવાડા રોડ પર અજાણ્યા વાહને તેમના બાઇકને ઠોકરે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.બનાવ અંગે કોન્સ્ટબેલના ભાઇની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવના પગલે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ ગોંડલ તાલુકાના ગામના વતની અને હાલ ગોંડલ પોલીસ લાઈનમાં રહેતા તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર વિનોદભાઈ હકુભાઇ લાલકીયા રાત્રિના બાઇક લઇ ગોંડલના ઊમવાડા રોડ પર સુવર્ણભૂમિ કોમ્પલેક્ષ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ઠોકર લેતા કોન્સ્ટેબલ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કોન્સ્ટેબલ વિનોદભાઈ લાલકીયા અગાઉ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં પાંચેક વર્ષની ફરજ બજાવતા હતા. તાજેતરમાં 15 દિવસ પૂર્વે તેમની શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. હાલ તેઓ દ્વારકા બાદમાં જામનગરમાં બંદોબસ્તમાં હતા ગઈકાલ રાત્રિના બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો. વિનોદભાઈ બે ભાઈના પરિવારમાં નાના હતા અને તેમને સંતાનમાં સાત વર્ષનો પુત્ર હોવાનું માલુમ પડ્યું છે .અકસ્માતની આ ઘટના અંગે વિનોદભાઈના મોટાભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુભાઈ લાલકીયાની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં કોન્સ્ટેબલનું મૃત્યુ થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application