એક એકર જમીનમાં સાત લાખ અળસીયા જમીનની ફળદ્રુપતામાં કરે છે વધારો

  • September 11, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના વડાળા ગામે દેશી અળસીયા દ્વારા જમીનની ગુણવતા સુધારવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
પોરબંદરમાં વડાળા ગામના પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત બાલુભાઈ ઓડેદરાએ દેશી અળસિયાના મહત્વ અને ઘટતાં જતાં ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિના નોંધપાત્ર ફાળા અંગે માહિતી આપી છે. રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શ‚ છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ વિશેનું વ્યાપક માર્ગદર્શન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાનું મહત્વ શું છે તે વિશે સમજ આપવામાં આવી છે.
 ખરાં અર્થમાં દેશી અળસિયા જમીનને પોષક તત્વો આપે છે સાથે સાથે આડકતરી રીતે જળસિંચનનું કામ કરતા હોવાનું પ્રાકૃતિક ખેતી કરનાર વડાળાના ખેડૂત બાલુભાઈ ઓડેદરા એ જણાવ્યું છે.
 બાલુભાઈ કહે છે કે અળસિયા જળસંચયનું ભગીરથ કાર્ય કેવી રીતે કરે છે તે જાણવું જ‚રી છે. આ પુસ્તકમાં જણાવ્યા મુજબ, ડો. સુભાષ પાલેકરના જણાવ્યા પ્રમાણે એક એકર જમીનમાં લગભગ ૭ લાખ અળસિયા કામ કરે છે. ભારતીય દેશી અળસિયા જમીન ખોદી કાઢે છે અને જે દરમાં જાય છે ત્યાંથી પાછા આવતા નથી અને અન્ય દર બનાવે છે. આ રીતે તેઓ ઘણાં દર બનાવતા જાય છે. જે ખેતરમાં આટલી મોટી સંખ્યામાં અળસિયા હોય ત્યાં તેના દ્વારા સર્જાયેલા છિદ્રો દ્વારા ઓક્સીજન જમીન પર પહોંચે છે અને જમીનની શક્તિ વધે છે.
પ્રાકૃતિક કૃષિથી પાણીની બચત થાય છે. જમીનની પાણીની સંગ્રહ ક્ષમતા વધે છે. જો વરસાદ ઓછો હોય તો પાણીની ઉપલબ્ધિ લાંબા સમય સુધી રહે છે. પાણી, ભેજ, ઉષ્ણતામાન અને હવામાનની વિવિધતામાં અળસિયા કાર્યસ્થળ બદલતા રહે છે. જ્યારે ઉપરના સ્તરમાં ખૂબ ભેજ અથવા ઉચું કે ખૂબ નીચું ઉષ્ણતામાન હોય ત્યારે અળસિયા જમીનમાં ઊંડે જઈ પોતાનું કાર્ય કરે છે અને ૨૦ ફૂટ સુધી જમીનમાં દર કરીને જમીનના નીચલા સ્તરોને પણ ઉત્પાદક બનાવે છે.  આવા ખેતરોમાં વધુ વરસાદ પડવાની સ્થિતિમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેમાં પરપોટા દેખાય છે પરંતુ આવું ત્યારે જ થાય જ્યારે જમીનનો વિકાસ પ્રાકૃતિક કૃષિ હેઠળ થયો હોય. આમ ઘટતાં જતાં ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપી શકે છે. 
દુષ્કાળ હોય અને પાણીની અછત હોય ત્યારે અળસિયા જમીનના ઉપરના સ્તરમાં કાર્ય કરે છે અને પાકના મૂળની નજીક રહી છોડ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે. આવા ખેતરોમાં વધુ અળસિયા અને સુક્ષ્મજીવો હોવાના કારણે જમીનમાં છિદ્રોનું પ્રમાણ વધી જાય છે. આવાં છિદ્રોમાં દુષ્કાળના સમયે પાણી ભેજના સ્વરૂપે જળવાય રહે છે અને છોડના મૂળને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાને કારણે છોડને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે.પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.  એકલાં અળસિયાથી જમીનમાં પ્રતિ એકર ૨૧૪ કિગ્રા નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે. ઉપરાંત, સહ પાક ‚પે કઠોળ પાકો નાઇટ્રોજનના સ્થિરીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જમીનમાં રહેવાવાળા દેશી અળસિયા જમીનના ભૌતિક ગુણધર્મોમાં નોંધપાત્ર સુધારો કરે છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ગુણો અને સુગંધ અળસિયાના આકર્ષિત કરે છે તેમની સંખ્યામાં વૃદ્ધિ થાય છે.  
એક અંદાજ મુજબ પ્રાકૃતિક કૃષિથી વિકસિત એક એકર જમીનમાં ૮-૧૦ લાખ અળસિયા દિવસ રાત જમીન માટે કાર્ય કરે છે. જો કે, સજીવ ખેતીમાં જમીનમાં છોડવામાં આવતા અળસિયા અને આ દેશી અળસિયામાં ફરક છે. આમ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાના કારણે જમીન ફળદ્રુપ થાય છે તેને જ‚રી પોષકતત્વો મળે છે અને જમીનની જળસંચય શક્તિમાં વધારો થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application