કાલાવડ નાકા બહાર અને બર્ધન ચોકમાંથી રેંકડી અને પથારા જપ્ત

  • May 24, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસના બંદોબસ્ત સાથે કોઇની પણ સેહ-શરમ વિના દબાણો દુર કરાયા

જામનગર શહેરમાં અનેક સ્થળોએ દબાણ થઇ રહ્યા છે, જો કે મોટા-મોટા દબાણો દુર કરવામાં એસ્ટેટ શાખા શરમ અનુભવે છે એવી છાપ ઉભી થઇ છે, ગઇકાલે એસ્ટેટ શાખાએ પોલીસને સાથે રાખીને કાલાવડ નાકા બહાર પાંચહાટડી વિસ્તાર તેમજ બર્ધનચોકમાં આવેલ કેટલાક દબાણ દુર કર્યા છે અને કાઉન્ટર, રેકડી, પથારા, ઝાળી અને કેટલોક માલ-સામાન જપ્ત કર્યો છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચના અનુસાર એસ્ટેટ શાખાના નીતીન દીક્ષીત, યુવરાજસિંહ, સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફે આ દબાણ દુર કર્યા છે, જો કે ચાર-પાંચ કલાકમાં જ આ દબાણો ફરીથી જઇ જાય છે.
બર્ધનચોકમાં તો અવારનવાર મેયર દબાણ હટાવવા નિકળી પડે છે ત્યારે વેપારીઓ સામે રકઝક પણ થાય છે, બર્ધનચોકથી કાયમી સમસ્યા ઉકેલાતી નથી, કોર્ટનો આદેશ થયો હોવા છતાં પણ તેનું પાલન કરવામાં આવતું નથી, ભૂતકાળમાં કમિશ્નર અશ્ર્વિનીકુમારના સમયમાં બર્ધનચોકમાંથી સીટી બસ દાખલ થાય તેવો રસ્તો કરી દબાણ હટાવાયા હતાં, પરંતુ કેટલાય વર્ષોથી આ સમસ્યા વેપારીઓ અને પથારાવાળાઓ અને લોકો માટે પણ શીરદર્દ બની ગઇ છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર, બર્ધનચોક, પાંચહાટડી, દરબારગઢ વિસ્તારમાં પથારાવાળાઓ અને રેંકડીવાળાઓ અડીંગો જમાવે છે ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, પોલીસ ઇન્સ.એન.એ.ચાવડા, સબ ઇન્સ. બી.એસ.વાળા દરબારગઢ પોલીસ ચોકીના પો.સ.ઇ. વી.આર.ગામેતી અને સર્વેલન્સ સ્ટાફની ટીમના લોકોએ સાથે મળીને આ દબાણો હટાવ્યા હતાં, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application