ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એસટી ભાડામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ગત માર્ચમાં ૧૦ ટકાનો વધારો કરાયા બાદ થર્ટી ફર્સ્ટના રોજ ૩ ટકાનો વધારો ઝીકાયો છે. જેની અમલવારી આજથી શરૂ થઇ ગઇ છે. ૯ મહિનામાં બીજી વખત વધારા ઝીકાતા મુસાફરોને આર્થિક બોજ સહન કરવો પડશે. ૧૦ થી ૬૦ કીમીમાં રૂ. ૧ નો વધારો થશે.
ગુજરાત એસ.ટી.ના ભાડામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો ૨૭ લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ૨૮ માર્ચ, ૨૦૨૫ના રોજ ભાડામાં ૧૦ ટકાનો વધારો કર્યો હતો. આમ ૯ મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમની રોજીંદી આવકમાં રૂ. ૧૮ થી ર૦ લાખ જેવો વધારો થશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, એસટી નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની મધ્યરાત્રીથી એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ બસમાં ૯ કિમી સુધી કોઈ વધારો નહીં, ૧૦થી ૬૦ કિમીમાં રૂ. ૧નો વધારો લોકલ બસમાં ૯ કિલો મીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહીં. જ્યારે ૧૦થી ૬૦ કિમીમાં રૂ.૧નો વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર આ ભાડા વધારાની નહિવત અસર જ પડશે.
એસટી નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસો દ્વારા ૩૨ લાખથી વધુ કિ.મી.નું અંતર કાપીને ૨૭ લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. છેલ્લા ૧૪ માસમાં ઇજ ૬ પ્રકારની ૧૪૭૫ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જ્યારે પાછલા એક વર્ષમાં ૧૩ બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત અદ્યતન બસપોર્ટ પણ કાર્યરત છે.