રશિયા-યુક્રેન યુદ્ધ: ભારતે શાંતિ માટે લીધા પગલાં, અજીત ડોભાલ કરશે રશિયાની મુલાકાત, PM મોદી અને પુતિન વચ્ચે થઈ વાતચીત

  • September 08, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર બંને દેશો વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે વાત કરી હતી. જે દરમિયાન પીએમએ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણા અંગે વાત કરવા માટે રશિયાની મોકલશે.


PM મોદી NSA અજીત ડોભાલને રશિયા પ્રવાસ પર મોકલશે. ડોભાલ રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે વાત કરશે.


NSA શા માટે રશિયાનો પ્રવાસ કરશે?


રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીના આદેશ બાદ NSA અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જવાના છે. જો કે તેઓ કઇ તારીખે રશિયા જશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અજીત ડોભાલની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ લાવવા માટે હશે. આ દરમિયાન અજીત ડોભાલ રાષ્ટ્રપતિ પુતિનને પણ મળી શકે છે. જ્યારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી ત્યારે પીએમ મોદીએ એનએસએને રશિયાની મુલાકાતે મોકલવાની વાત કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર જુલાઈ મહિનામાં રશિયા ગયા હતા, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા અને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. રશિયા બાદ પીએમ મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત હંમેશા શાંતિની વાત કરે છે. આ પછી હવે ભારત ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે પગલાં લઈ રહ્યું છે અને PM NSA અજીત ડોભાલને રશિયા મોકલી રહ્યા છે.


"યુદ્ધમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે"


હાલમાં જ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેઓ શાંતિના વિરોધી નથી તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણામાં ભારત, ચીન, બ્રાઝિલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


ઇટાલિયન PMએ ભારત વિશે શું કહ્યું?


યુદ્ધમાં ભારતની ભૂમિકાને લઈને પુતિનના નિવેદનના 48 કલાક બાદ જ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં ઇટાલીના પીએમ મેલોનીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને યુદ્ધને રોકી શકે છે. PM મેલોનીએ ગઈકાલે કહ્યું કે, ભારત, ચીન જેવા દેશો રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application