રાજકોટ કે મીર્ઝાપુર: ૧૬ ફાયર આમ્ર્સ સાથે પાંચ ઝડપાયા
રાજકોટ શહેરમાં સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ ફાયરિંગના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને મોટાભાગની આવી ઘટનાઓમાં ગેરકાયદે હથિયારનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ગેરકાયદે હથિયારના નેટવર્કને ડામવા પીસીબીની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. મધ્યપ્રદેશના મિરઝાપુરનો શખસ કુવાડવા પાસે વાંકાનેર ચોકડી તરફ હથિયાર સપ્લાય કરવા આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે આ શખસ અને તેના સાથીદારને ઝડપી લીધો હતો. બાદમાં તેમણે જેને હથિયાર સપ્લાય કર્યા હતા તે ચોટીલા પંથકના ત્રણ શખ્સોને ઝડપી લઇ આ શખસો પાસેથી કુલ ૧૬ ગેરકાયદે હથિયાર અને ૩૦ જીવતા કાર્ટીસ કબજે કર્યા હતા.
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્રારા આગામી અષાઢી બીજમાં નીકળનાર રથયાત્રા અનુસંધાને રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુનાખોરી પર અંકુશ રહે તે હેતુસર શહેરમાં ગુનાઓને અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને ખાનગી રાહે હકીકત મળી હતી કે, એમપીનો શકીલ સાદીક મન્સુરી રાજકોટથી કુવાડવા જતા હાઈવે રોડ પર વાંકાનેર ચોકડી પાસે ગેરકાયદે હથિયારની ડિલિવરી આપવા આવનાર છે.
આ હકીકતના આધારે પીસીબીની ટીમ વોચમાં હતી. દરમિયાન ગેરકાયદે દેશી બનાવટના પાંચ હથિયાર તથા ૨૦ કાર્ટીસ સાથે શકીલ ઉર્ફે સાદિક મન્સૂરી (ઉ.વ. ૩૮ રહે મીરજાપુર, તા. મનાવર જી. ધાર, મધ્યપ્રદેશ) અને જયસુખ પે જેસો વલ્લભભાઈ વાઘેલા (ઉ.વ.૩૫ રહે. બોઘરાવદર તા. જસદણ) ને ઝડપી લીધા હતા.ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા શકીલે અગાઉ દેશી બનાવટના હથિયારો તથા કાર્ટીસ અનિલ તથા દર્શન (રહે બંને. ચોટીલા) ને આપ્યાની હકીકત જણાવતા પોલીસે અન્ય ત્રણ આરોપી અનિલ વીરાભાઇ ખેતરીયા (ઉ.વ.૩૦ રહે. વૃંદાવન સોસાયટી શેરી નંબર એક, ચોટીલા) ને ત્રણ હથિયાર સાથે તથા ગાવસ્કર ઉર્ફે દર્શન ચદ્રં મૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા (ઉ.વ. ૩૨ રહે. ચોટીલા) ને દેશી બનાવટના પાંચ હથિયાર અને ૧૦ કાર્ટીસ તથા પ્રદીપ અનકભાઈ કરપડા (ઉ.વ.૩૨ રહે. ગેલેકસી સોસાયટી સૂર્ય વોટર પ્લાન્ટ વાળી શેરી ચોટીલા) ને દેશી બનાવટના ત્રણ હથિયાર સાથે ઝડપી લીધો હતો. આમ પીસીબીની ટીમે હથિયારોનું વેચાણ કરતી વેપન કાર્ટેલના પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ ૧૦,તમંચા ૫ અને દેશી બનાવટની એક રિવોલ્વર તથા ૩૦ જીવતા કાર્ટીસ સહિત કુલ .૨.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.ઝડપાયેલા આ શખસોએ રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાં અન્ય કોને હથિયાર સપ્લાય કર્યા છે અને તેમણે સપ્લાય કરેલા હથિયારનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી.બી. ત્રાજિયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઈ પલારીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ, વિરેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ઉમેશભાઈ, દિલીપભાઈ રાહત્પલગીરી નગીનભાઈ હિરેનભાઈ પ્રદિપસિંહ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, દેવરાજભાઈ, વાલજીભાઈ, વિરેન્દ્રસિંહ, વિશાલભાઈ અને જયેશભાઈ સાથે રહ્યા હતા