સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય સંત હરિસ્વરૂપસ્વામી ગઈકાલે બુધવારે (વૈશાખ સુદ છઠ) શ્રીજી મહારાજની સેવામાં અક્ષરધામ સિધાવ્યા છે. સ્વામીશ્રીના નિધનથી હરિભક્તો અને સંત સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પૂજ્ય સ્વામીએ ગઈકાલે સાંજે ૪:૩૦ વાગ્યે પૂર્ણ સભાન અવસ્થામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે દેહત્યાગ કર્યો હતો. અક્ષરધામ ગમન પૂર્વે તેમણે તુલસીની નવી કંઠી ધારણ કરી હતી અને કપાળમાં કુમકુમનો ચાંદલો કરી ગોપીનાથજી મહારાજની આરતી ઉતારી હતી. અંતિમ ક્ષણોમાં પોતાના સેવક અર્પિતભગતને ‘જય સ્વામિનારાયણ’ કહીને તેઓ શાંતિપૂર્વક શ્રીજી ચરણમાં લીન થયા હતા.
અંતિમ દર્શન અને વિધિનો કાર્યક્રમ
દર્શન: ગઈકાલે રાત્રે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદના મેમનગર ગુરુકુળ ખાતે અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા
સ્નાન વિધિ: આજે સવારે ૮:૦૦ વાગ્યે સ્વામીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્નાન કરાવવામાં આવ્યું હતું.
મંદિર પ્રસ્થાન: સવારે ૧૧:૦૦ વાગ્યે તેમના પાર્થિવ દેહને ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ભક્તો માટે સભા અને અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા.
ગઢપુર ખાતે અંતિમ સંસ્કાર
પરમ પૂજ્ય હરિસ્વરૂપસ્વામીની અંતિમ ઈચ્છા અને સંપ્રદાયની પરંપરા મુજબ, તેમના અંતિમ સંસ્કાર પવિત્ર ધામ ગઢપુર (ગઢડા) ખાતે કરવામાં આવશે. આજે સાંજે ૪:૦૦ વાગ્યે ગઢડા ખાતે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં તેમના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવશે. સ્વામીશ્રીએ સમગ્ર જીવન સંપ્રદાયની સેવા અને સત્સંગના પ્રસારમાં વિતાવ્યું હતું, જેની સ્મૃતિ આજે પ્રત્યેક હરિભક્તની આંખમાં આંસુ લાવી રહી છે.