પકડ્યા પછી ખોરાક, રહેઠાણ, પાણી અને આરોગ્યની પુરતી સુવિધા આપો

  • May 27, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર શહેરમાંથી રખડતા-ભટકતા ખુંટીયાઓને પકડીને ઓડદરની ગૌશાળામાં રાખી રહ્યું છે,પરંતુ ત્યાં ગૌશાળામાં ખોરાક,પાણી આરોગ્ય સહિત રહેઠાણની પ્રાથમિક સુવિધા પણ પુરી પાડવામાં આવી નથી,જેના કારણે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે,ત્યારે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પશુઓ ઉપર જુલ્મ ગુજારનારી મહાનગરપાલિકા સામે પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર શહેરમાંથી રખડતા-ભટકતા  નંદીને પકડીને મહાનગરપાલિકાનું તંત્ર ઓડદરની ગૌશાળામાં રાખે છે,પરંતુ ત્યાં તેઓને પુરતો ખોરાક પાણી છાંયો અને આરોગ્યની સુવિધા આપવામાં આવતી નથી તે કૌભાંડનો ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો.સંસ્થાના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરા સહિત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં પશુઓ રાખવામાં આવ્યા હોવા છતાં તેમને છાપરું કે શેડ આપવામાં આવ્યા નથી,જેના કારણે તડકામાં હેરાન થઈ રહ્યા છે.મ.ન.પા.નું તંત્ર ૬૦૦ પશુઓ પકડયાનો દાવો કરી રહ્યું છે,પરંતુ આટલી મોટી માત્રામાં પશુ માટે ચારાની પુરતી વ્યવસ્થા નથી પણ પાણીની પણ પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી નથી એટલું જ નહી પરંતુ આરોગ્ય માટે ૧૯૬૨ એમ્બ્યુલન્સ રાખવી ફરજીયાત હોવા છતાં ત્યાં જોવા મળી ન હતી.આથી જીવદયા પ્રેમીઓએ મહાનગરપાલિકાના તંત્રને રજુઆત કરીને વહેલીતકે જો સુવિધાઓ પ્રાપ્ત નહી થાય તો પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત મ.ન.પા. સામે કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવવામાં આવી છે. 
જેટલું આખલા યુદ્ધ માણસોને નુકશાન કરે છે એનાથી તો ૧૦ ગણી સજા આ અબોલને મળી રહી છે,મહાનગરપાલિકાના કર્મચારીઓ ખુબ ક્રુરતાપુર્વક ઢસડીને  નંદીને ટ્રોલીમાં ભરે છે. ક્યારેક ટ્રોલીમાં પડી ગયેલા નંદી ઉપર બીજા નંદી પણ પડે છે.મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં  હાલની પરિસ્થિતિમાં ૬૦૦ થી વધુ ગૌવંશને પકડીને લોક સુવિધાના નામે પુરવામાં આવ્યા છે.૮ થી ૧૦ છાપરા  પાણીના માત્ર ૨ જ કુંડા અને સવારે માત્ર એકજ વાર ૩૦૦ થી ૩૫૦ મણ  ઘાસચારો અને ૬૦૦ નંદી આ સુવિધા પુરતી છે?,ઘણા નાના વૃદ્ધ ઘાયલ અને બિમાર જીવ પણ ત્યાં છે.પણ કોઈ ડોક્ટરની વ્યવસ્થા નથી. હાલ તો ત્યાં ૧૯૬૨ ની એમ્બ્યુલન્સ પણ નથી.સ્થળ પર માત્ર એક ગોવાળ સિવાય કોઈ જોવા કે પુછવાવાળું નથી.અત્યારે ધોમધખતા તાપ માં આ ૬૦૦ જીવ ઊભા છે.થોડા દિવસ પછી વરસાદ આવશે ત્યારે આ જીવ નું શું થશે? કોઈપણ જાતની પ્રીમોન્સુન તૈયારી તો છે નહી.અત્યારે ત્યાં દરરોજ ૧-૨ ગૌવંશ ન મૃત્યુ થઈ રહ્યા છે. વરસાદ આવશે એટલે રોજ વધુ મોત થશે.પણ કોઈ ના પેટનું પાણી પણ હલતું નથી.અત્યારે નીચે છાણ છે તેના પર જ ખાવા નું નાખવામાં આવે છે ચોમાસા માં એ કીચડ માં કઈ રીતે ખાવાનું આપશે?આ પણ જીવ છે કોઈ આડપેદાશ નથી,દર વર્ષે ૫૦૦-૭૦૦ પકડે બીજા વર્ષે એમાંથી તો ૨૦ કે ૨૫ હજાર હોય બાકીના દેવ થઈ જાય,ફરી પાછા બીજા વર્ષે નવા પકડે એમ દર વર્ષે મોતનો ખેલ ચાલતો રહે,સિંહ આવ્યો એ વખતના  લોખંડના વાયર પણ એમાં જ્યાં ત્યાં પડેલા છે.પોરબંદરવાસીઓ અધિકારીઓ સતાધીશો આ અબોલને હાઇ કોર્ટ ના હુકમ મુજબ પકડો પણ સુપ્રીમકોર્ટ ના ચુકાદા મુજબ એના અધિકાર તો આપો. એ અમારા પોરબંદરના સૌ જીવદયા પ્રેમીઓ ની માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application