પોરબંદરનો પ્રવાસન ઉદ્યોગ હંમેશને માટે રહ્યો છે સરકારનો અળખામણો!

  • September 27, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે વિશ્ર્વ પ્રવાસન દિવસ છે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ગાંધીભૂમિ પોરબંદર હમેશા સરકાર માટે અળખામણી રહી છે. ગમે તેટલા એન્જીનનીસ સરકાર રચાય તો પણ પોરબંદરનો પ્રવાસનક્ષેત્રે વિકાસ થવાનો નથી તે વાસ્તવિકતા હવે નગરજનોએ પણ સ્વીકારી લીધી હોય તેવુ જણાઇ રહ્યુ છે અને તેથી જ વિશ્ર્વ પ્રવાસન દિવસે પણ પોરબંદરવાસીઓ હવે સરકાર પાસે ટુરીઝમ ક્ષેત્રે વિકાસ માટે કોઇ અપેક્ષા રાખી રહ્યા નથી.
પોરબંદરમાં ખાસ કોઈ મોટા ઉદ્યોગ નથી અને તેથી પોરબંદર જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે વર્ષોથી નેતાઓ વાતોના વડા કરે છે પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેના કારણે પોરબંદર માં પ્રવાસન ક્ષેત્રે અનેક તકો હોવા છતાં જિલ્લાનો વિકાસ ‚ંધાઈ ગયો છે. 
પોરબંદર શહેરનું નામ જેના ઉપરથી પડ્યું તે પોરાઈ માતાજીનું મંદિર ઝૂંડાળા વિસ્તારમાં આવેલું છે. ત્યાં સુધી જવા માટેનો રસ્તો એટલો ગુંચવણ ભર્યો છે કે બહારથી આવતા પ્રવાસીઓ તો ઠીક સ્થાનિક પોરબંદર વાસીઓ પણ જતા નથી. પ્રવાસન સ્થળોના વિકાસ માટેની જાહેરાતમાં વર્ષ ૨૦૦૬ માં તેનો સમાવેશ થયો હતો અને છૂટક નવીનીકરણ થયું હતું પરંતુ તેના પ્રચાર પ્રસાર માટે સરકાર ગંભીર બની નથી જેના કારણે કોઈ પ્રવાસીઓ અહીં આવતા નથી. 
એવું જ બીજું યાત્રાધામ છે સુદામાપુરી. સુદામા મંદિર સંકુલ પણ મામલતદાર હસ્તકનું છે અને તંત્ર દ્વારા સ્વાભાવિક રીતે જાળવણી પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી. મેન્ટેનન્સ પાછળનો ખર્ચ કરવામાં આવતો નહીં હોવાથી ફુવારા બંધ છે અને એક લાઈટો બંધ છે તથા કંપાઉન્ડમાં વાવવામાં આવેલી લોન સુકાઈ ગઈ છે તે ઉપરાંત બાળકોના મનોરંજન માટેના સાધનો તૂટીફૂટી ગયા છે અને કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 
તેની નજીકમાં જ આવેલ રાણા સરતાનજીના ચોરાનો મુખ્ય દરવાજો કાયમી ધોરણે  બંધ હોવાથી પ્રવાસીઓ અંદર જતા નથી અને સુદામા મંદિર ખાતેથી થોડા ઘણા પ્રવાસીઓ ત્યાં જાય છે.
શહેરમાંથી આવેલ જુના કોર્ટ બિલ્ડીંગની હેરિટેજ ઇમારતની જાળવણી નહીં થતા જર્જરીત બની ગઈ છે. અહીંયા મ્યુઝિયમ બનાવવા માટે વર્ષોથી માંગણીઓ કરવામાં આવે છે પરંતુ તેની કામગીરી પણ થઈ નથી જેના કારણે આ બિલ્ડીંગ માંથી વારંવાર છતના પોપડા અને દિવાલ પડતા હોવાને લીધે છેલ્લે વહીવટી તંત્રએ જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આ ઇમારતની નીચે પ્રવેશબંધી ફરમાવીને તેની ફરતે દિવાલ બાંધી દીધી છે. 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર વિશ્ર્વપ્રસિદ્ધ છે અને ત્યાં આવતા પ્રવાસીઓને કસ્તુરબા ના ઘર વિશે પૂરતી જાણકારી આપવામાં આવતી નથી. તેથી કીર્તિ મંદિરની પાછળ જ આવેલ કસ્તુરબા ના પિયરના ઘરે પણ પ્રવાસીઓ જતા નથી રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકના આ સ્મારક ના પ્રચાર પ્રસાર માટે પણ તંત્ર ઉદાસીન છે.
પોરબંદરની રમણીય ચોપાટી ઉપર વાવાઝોડા બાદ થયેલ ભૌગોલિક નુકસાન નું સમારકામ કરવામાં આવ્યું નથી તેના કારણે નવી ચોપાટી ખેદાન મેદાન બની ગઈ છે. ચોપાટી પર કરોડો ‚પિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું પરંતુ તેની જાળવણી કરવામાં આવી નથી અને ત્યાં ૩ કરોડના ખર્ચે શ‚ કરી લેઝર શો છેલ્લા ચાર વર્ષથી બંધ છે. આમ, બીચ ટુરીઝમ સહિત વિકાસની વાતો કરતી સરકાર પોરબંદરના પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે નકકર કાર્યવાહી કરતી નથી ત્યારે શરમની વાત એ છે કે શહેરમાં એક પણ ધર્મશાળા નથી કે જ્યાં યાત્રાળુઓ રાતવાસો કરી શકે. માત્ર વિકાસની વાતો અને ડબલ એન્જિન સરકાર હોવાનું જણાવાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ હકીકત છે અને તેથી જ પોરબંદરમાં રાત્રે ૧૧ વાગ્યા પછી આવતા પ્રવાસીઓને આવાસ અને ભોજન માટે પણ રીતસર ના ફાંફા પડે છે તે હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application