વ્યાજખોર પર જેલમુકત થયા બાદ પણ પોલીસ નજર રાખશે: સીપી

  • June 29, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસ કમિશનર બ્રિજશ કુમાર ઝાની અધ્યક્ષતામાં ગઈકાલે લોક દરબાર કમ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 26 અરજીઓ આવી હતી જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. પોલીસ કમિશનરે આ લોક દરબારમાં કહ્યું હતું કે, વ્યાજખોરીના ગુનામાં વ્યાજખોર છૂટ્યા બાદ પણ તેની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.આ ઉપરાંત ડીસીપી ઝોન-2 એ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના બે કે તેથી વધુ ગુના નોંધાશે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

વ્યાજખોરીના દુષ્ણને ડામવા માટે રાજકોટ શહેર પોલીસ પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરી વિરોધી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યું છે જે 31 જુલાઇ સુધી ચાલુ રહેશે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે 5 થી 7 દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલમાં વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર કમ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,જેસીપી મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ઉપરાંત તમામ એસીપી અને પીઆઇની હાજરીમાં યોજાયેલા આ લોક દરબારમાં 26 અરજીઓ આવી હતી. અલગ અલગ રીતે વ્યાજખોરો દ્વારા અરજદાર પર દમન ગુજારવામાં આવ્યું હોય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ કરી ગુના નોંધવામાં આવશે.
આ લોક દરબારમાં ડીસીપી ઝોન- 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, અરજીઓના આધારે સંબંધિત પોલીસ મથક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે જેની સામે વ્યાજખરીના બે કેસ નોંધાશે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

લોક દરબારમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 60 અરજીમાં 47 માં ગુના દાખલ કરી 62 આરોપી પકડ્યા હતા. જે વ્યક્તિઓને પૈસાની જરૂરીયાત હોય તે પ્રથમ બેંક પાસે લોન લેવાનો આગ્રહ રાખે. આવક પ્રમાણે પ્રસંગ કરવા જોઈએ કોઈની દેખાદેખીમાં આવી ન જવું જોઈએ. આર્થિક સમસ્યા હોય તો સંબંધી પરિવાર કે મિત્ર સર્કલને વાત કરવી જોઈએ. વ્યાજખોરો પાસે આપણે નહીં જઈએ તો તેનો ધંધો આપોઆપ બંધ થઈ જશે. કોઈપણ આત્મઘાતી પગલું ભરતા પહેલા તમારા પરિવાર વિશે વિચારી એક વખત પોલીસ પાસે આવો તમને 100 ટકા ન્યાય અપાવીશું. આગામી દિવસોમાં પોલીસ દ્વારા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, અરજીના આધારે ગુના નોંધાશે તેમાં આરોપી છૂટ્યા પછી પણ તેની ગતિવિધિ પર પોલીસ ખાસ નજર રાખશે. જેથી કરીને ફરિયાદ નોંધાવનારને કોઈ તકલીફ ન પડે.


ત્રાસથી કંટાળી જઇ આપઘાત કર્યો છતાં મહિલા વ્યાજખોર સામે ગુનો ન નોંધાયો
લોક દરબારમાં રાજકોટમાં ઉપલા કાંઠા વિસ્તારમાં રહેતા માધુભાઈ ગોહિલે રોષભેર જણાવ્યું હતું કે, તેમના ભાભીએ રામનાથપરામાં ડેલામાં રહેતી લીલીબેન ડોડીયા નામની મહિલા વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. 2018 થી અઢી કિલોની ફાઈલ લઈને રખડું છું. મેં પોલીસ કમિશનર મુખ્યમંત્રી પીએમ સુધી રજૂઆત કરી છે.આ ચોથો લોકદરબાર છે જેમાં રજુઆત કરી છે. છતાં મને ન્યાય મળ્યો નથી. આ પ્રકરણમાં જમાદાર બોઘા ભરવાડ પણ વરવી ભૂમિકા ભજવી હોવાનું આક્ષેપ કર્યો હતો. અરજદારની રજૂઆત સાંભળી પોલીસ કમિશનરે તેમને મંગળવારે રૂબરૂ મળવા માટે કહ્યું હતું.


પ્રજ્ઞાચક્ષુ વૃધ્ધ અને તેમના પત્ની સાથે વ્યાજખોરની માથાકૂટ
લોક દરબારમાં પ્રજ્ઞાચક્ષુ વૃધ્ધ મુકેશભાઈ ભટ્ટે રજૂઆત કરી હતી કે, ભરત મકવાણા પાસેથી રૂ.70,000 લીધા હતા. જેની સામે અઢી લાખ ચૂકવી દીધા હોવા છતાં તેઓ વધુ પૈસાની ઉઘરાણી કરે છે અને આ પૈસાની પઠાણી ઉઘરાણી કરી ગત તા. 9 ના રોજ ઘરે આવી વૃદ્ધ તથા તેમના પત્ની સાથે મારકૂટ કરી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે.


પૈસા ચૂકવી દીધા હોવા છતાં જમીનના કાગળો પાછા આપતો નથી
લોક દરબારમાં જયસુખભાઈ મોહનભાઈ ભીમાણીએ રજૂઆત કરી હતી કે, અલ્પેશ દોંગા નામના વ્યક્તિ પાસેથી મે 21 લાખ લીધા હતા પૈસા આપતી વખતે તેણે બે ટકા વ્યાજ કર્યું હતું. પરંતુ બાદમાં પાંચ ટકા કરી નાખ્યું હતું. બદલામાં તેણે આઠ એકર જમીન પણ લખાવી લીધી હતી.મેં તમામ પૈસા ચૂકવી દીધા હોવા છતાં તે જમીનના કાગળો પરત આપતો ન હતો આ અંગે મેં ક્રાઈમ બ્રાન્ચમાં અરજી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ અલ્પેશે મને ક્રાઈમ બ્રાન્ચમાં તેની બધા સાથે ઓળખાણ છે તેમ કહી ધમકાવી રહ્યો છે. આ અરજદારની રજૂઆત સાંભળી પોલીસ કમિશનરે તેને ડીસીપી ક્રાઈમને મળવા માટે કહ્યું હતું.


કયા પોલીસ સ્ટેશન વિસ્તારની કેટલી અરજી?
લોક દરબારમાં કુલ 26 અરજીઓ આવી હતી. જેમાં પ્ર.નગરની એક, એડિવિઝનની બે, એરપોર્ટ પોલીસ મથકની એક, માલવીયાનગર પોલીસ મથકની ચાર, કુવાડવા રોડ પોલીસ મથકની ત્રણ, બી ડિવિઝનની ચાર, ગાંધીગ્રામની એક અને યુનિવર્સિટી પોલીસ મથકની બે તાલુકા પોલીસ મથકની ચાર, ભક્તિનગર-થોરાળ પોલીસ મથકની એક-એક તેમજ આજીડેમની બે અરજીનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application