છેતરપિંડી રોકવા સરકારનો મોટો નિર્ણય, મિલકત નોંધણીમાં ફોટો અને અક્ષાંશ ફરજિયાત, 1 એપ્રિલ 2025થી નવો નિયમ લાગુ

  • March 21, 2025 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે મિલકતની નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડીના બનાવોને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ અને અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે.




આ પરિપત્રનો અમલ 1 એપ્રિલ, 2025થી કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, દસ્તાવેજોમાં મિલકતના એક સાઇડથી (Side view) તથા સામેની બાજુથી (Front View) લીધેલ 5” * 7” સાઇઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત પૃષ્ઠ ઉપર ચોંટાડવાના રહેશે. ફોટોગ્રાફની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી, દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોએ પોતાની સહી કરવાની રહેશે.


આ ઉપરાંત, ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજૂ થાય ત્યારે, દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે, તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટોગ્રાફમાં/ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે. જો ફોટોગ્રાફમાં/ફોટોવાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલ નહીં હોય, તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં.


સરકારના જણાવ્યા અનુસાર, અમુક કિસ્સાઓમાં સ્થળ ઉપર બાંધકામ હોવા છતાં પણ ખુલ્લી જમીનના ફોટોગ્રાફ દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે. જેનાથી સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં નુકસાન થાય છે અને છેતરપિંડીની ઘટનાઓ બને છે. તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application