પાકિસ્તાનની અવળચંડાઈ, નહીં સુધરે એટલે નહીં સુધરે... પાંચમાં દિવસે એલઓસી પર ગોળીબાર, ભારતે પણ વળતો જવાબ આપ્યો

  • April 29, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર સરહદ પર જોવા મળી રહી છે. પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરને અડીને આવેલી સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ફરી નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ ઉશ્કેરણીનો અસરકારક રીતે જવાબ આપ્યો.


આ પહેલા, પાકિસ્તાને 27-28 એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લાના વિસ્તારોમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. સેનાએ પણ આનો જવાબ આપ્યો હતો. પુલવામા પછી જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભયંકર હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે, એમ ભારતીય સેનાના અધિકારીઓએ ગઈકાલે એક જણાવ્યું હતું. પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ફેબ્રુઆરી 2021થી અમલમાં છે.


22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પરિવાર સાથે રજાઓ ગાળી રહેલા 26 લોકોને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. આતંકવાદીઓએ તેમનો ધર્મ જાણ્યા પછી તેઓને ગોળી મારી દીધી હતી. મૃતકોમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિક હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ હુમલા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે.

આ ઘાતક હુમલાના પગલે, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત અનેક રાજદ્વારી પગલાંની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આતંકવાદીઓ અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે. અટારી-વાઘા બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application