દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. તેઓએ રવિવારે સવારે જામનગરમાં રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી દ્વારા બનાવાયેલા વનતારાની મુલાકાત લીધી હતી. હવે વનતારાની અંદરની પીએમ મોદીની મુલાકાતના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં અનંત અંબાણી દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે નીતા અંબાણી અને રાધિકા પણ જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારામાં આવેલા મંદિરે માતાજીના દર્શન પણ કર્યા હતા. બાદમાં વનતારામાં હાથીઓ માટે બનાવેલી હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ કાચ આડે રાખેલા સિંહ સાથે મોદીએ પંજો મિલાવ્યો હતો. આ ઉપરાંત સિંહબાળને દૂધ પીવડાવ્યું હતું. જીપ્સીમાં બેસી વનતારામાં રહેલા ચિતા, હાથી સહિતના વન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા. તેમજ ગેંડાઓને ગાજર ખવડાવતા નજરે પડ્યા હતા. વનતારામાં 4 કલાક જેવો સમય વડાપ્રધાને વિતાવ્યો હતો.
વનતારાનું લક્ષ્ય એનિમલ કેર અને વેલ્ફેરના એક્સપર્ટ્સ સાથે કામ કરીને વૈશ્વિક સ્તરે થતા પ્રાણી સંરક્ષણમાં યોગદાન આપવાનું છે. વનતારાએ બચાવાયેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પડે તે માટે 3000 એકર જમીન પર જંગલ ઉભું કર્યું છે.
વનતારાનો મૂળ વિચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા અનંત અંબાણી દ્વારા રોપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનંત અંબાણી રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિન્યૂએબલ એનર્જીના બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની સફરનું નેતૃત્વ કરે છે.
વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પ્રોગ્રામ હેઠળ 200થી વધુ હાથી અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે. જ્યાં તેમની પશુચિકિત્સકો, બાયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, ન્યૂટ્રીશિયાનિસ્ટ અને નેચરાલિસ્ટ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે(તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે)અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.
આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે. જે દરેક હાથીની ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરે છે.આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદિક પદ્ધતિ પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech