પીજીવીસીએલના લાઈનમેનનું ચાલુ ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતાં મૃત્યુ

  • May 29, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કનસુમરામાં અન્ય સ્ટાફ સાથે કામગીરી દરમિયાન ચાલુ ફરજે હૃદય બેસી જતાં મૃત્યુ નીપજવાથી પરિવાર શોકમગ્ન

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા અને જામનગરની પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક વીજ કર્મચારી નું ગઈકાલે કનસુમરા ગામમાં ચાલુ ફરજ દરમિયાન એકાએક હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે. જેથી વિજ તંત્રના અન્ય સ્ટાફમાં તેમજ મૃતક ના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે, મૃતકના મોટાભાઈ જામનગરના નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે રહેતા અને જામનગરના પોલીસબેડામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ અધિકારી તુલસીભાઈ લખુભાઈ વાઘેલા ના નાના ભાઈ દિનેશભાઈ લખુભાઈ વાઘેલા (૫૦) કે જેઓ જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના ગોકુલનગર સબ ડિવિઝનમાં ફરજ બજાવે છે, અને  તેઓ પોતાના અન્ય સાથી કર્મચારીઓ સાથે ગત ૨૪ મી તારીખે કનસુમરા ગામમાં મહાજન વાસ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. જે દરમિયાન તેઓને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ બન્યા હતા. જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાતાં વિજ કર્મચારીના અન્ય સ્ટાફમાં ભારે શોક ની લાગણી છવાઈ હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નિવૃત પોલીસ અધિકારી ટી.એલ.વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના એએસઆઈ વાય.વી.જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વિજ કર્મચારીનું ચાલુ ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થવાથી જામનગરના વિજ તંત્રમાં પણ શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application