ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર સંચાલિત, ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરનો મુખ્ય હેતુ યુવાનોની શારીરિક ક્ષમતા વધારવાનો, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો અને સાહસિકતાના ગુણનો વિકાસ કરવાનો છે, જેથી તેઓ આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી/કૃત્રિમ આપદાઓના સમયમાં સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકાર દ્વારા આપવામાં આવશે.
આ તાલીમ શિબિરમાં એન.સી.સી., એન.એસ.એસ., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં- ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ-પ્રમાણિત કરીને તા. ૧૫/૧૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન મોકલી આપવાના રહેશે.