અમદાવાદમાં બીયુ પરમિશન ન હોવા છતાં ધમધમતી નવ હોસ્પિટલને એએમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીથી અન્ય હોસ્પિટલના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એએમસી દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી નવ હોસ્પિટલ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. સીલ કરાયેલી નવેય હોસ્પિટલોને એએમસી દ્વારા અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ સંચાલકો ગાંઠતા ન હોય આખરે એએમસીએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને બાંધકામના નિયમો અનુસાર બીયુ મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતાં તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે,એએમલી દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ નવ હોસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે. આજે સવારે સીલ કરવામાં આવેલી નવ હોસ્પિટલોમાં સરખેજ, મક્તમપુરા, જુહાપુરા અને સાઉથ બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે.
સીલ કરાયેલી હોસ્પિટલોના નામ
1. દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પલેક્સ, સરખેજ
2. મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા
3. નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા
4. રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા
5. હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ
6. સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ
7. મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ
8. આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ
9. દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ