આગામી વર્ષે જીડીપી 6.5થી 7% રહેશે: આર્થિક સર્વે

  • July 22, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી 6.5-7 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો દર 4.1 ટકા રહેવાનાઅંદાજ છે. અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનો આપવામાં આવ્યા છે, જે બજેટમાં પ્રતિબિંબિત થશે.
સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર આ અંગે પણ સંપૂર્ણ રીતે સજાગ છે. એવું કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક કારોબારમાં પડકારોની સંભાવના છે.

આર્થિક સર્વે અનુસાર, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક પ્રદર્શન છતાં, સ્થાનિક વૃદ્ધિના ચાલકોએ નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિને ટેકો આપ્યો હતો. વધુમાં, ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો અને તેની અસર ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિના વલણને અસર કરી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તેમજ ઘણા નિયમો દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવી છે.


રાજકોષીય ખાધ ઘટી 4.5 ટકા થશે
મૂડી ખર્ચ પર સરકારનુ ફોકસ અને ખાનગી રોકાણમાં સતત વધારાને કારણે ગ્રોસ ફોક્સ્ડ કેપિટલ ફોર્મેશનને વેગ મળ્યો છે. આર્થિક સર્વે અનુસાર, તેમાં 2023-24માં 9 ટકાનો મજબૂત વધારો નોંધવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં રાજકોષીય ખાધ વિશે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2025-26 સુધી રાજકોષીય ખાધ ઘટી 4.5 ટકા થશે. સરકારનું સમગ્ર ધ્યાન રાજ્યોની ક્ષમતામાં વધારો કર્યો છે.


બેરોજગારીનો દર ઘટીને 6.7% થયો
આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીમાં વૃદ્ધિ સાથે, કોરોના રોગચાળા પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15થી વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024માં ઘટીને 6.7% થયો છે જે ગયા વર્ષે 6.8% હતો. ભારતના કુલ કર્મચારીઓમાંથી લગભગ 57 ટકા સ્વ-રોજગાર છે. યુવાનોમાં બેરોજગારીનો દર 2017-18માં 17.8%થી ઘટીને 2022-23માં 10% થયો છે.


બજેટ સત્ર: સંસદમાં નીટ પેપર લીક મુદ્દે ધમાસણ
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. પેપર લીકનો મુદ્દો ગૃહમાં મહત્વનો બન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે. પરીક્ષા વ્યવસ્થામાં ગરબડ જોવા મળી રહી છે. જ્યારે અખિલેશ યાદવે કહ્યું છે કે સરકારે પેપર લીકમાં રેકોર્ડ બનાવ્યો છે. સ્પીકરે કહ્યું કે પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવવા એ ખોટું છે. અગાઉની સરકારોમાં પણ પેપર લીક થયા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મુદ્દો એ છે કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ શું થઈ રહ્યું છે તેનાથી અત્યંત ચિંતિત છે અને તેઓ માને છે કે

ભારતીય પરીક્ષા પદ્ધતિ એક છેતરપિંડી છે. લાખો લોકો માને છે કે જો તમારી પાસે પૈસા છે અને તમે અમીર છો તો તમે ભારતીય પરીક્ષા પ્રણાલી ખરીદી શકો છો અને વિપક્ષની પણ આ જ ભાવના છે.રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે કે પરીક્ષા પ્રણાલીમાં ઘણી ખામીઓ છે. શિક્ષણ મંત્રીએ દરેકની ખામીઓ ગણાવી, પણ પોતાની ખામીઓ ગણાવી નહીં. શિક્ષણ મંત્રીને મારો પ્રશ્ન છે કે તમે આ સમસ્યાના નિરાકરણ માટે શું કરી રહ્યા છો?
આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હું દેશની પરીક્ષા પ્રણાલીને બકવાસ ગણાવવાની નિંદા કરું છું. જેમણે દૂરથી સરકાર ચલાવી છે. 2010માં કોંગ્રેસ સરકારમાં શિક્ષણ મંત્રી કપિલ સિબ્બલ શિક્ષણ સુધારા અંગે ત્રણ બિલ લાવ્યા હતા. જેમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કેપિટેશન ફીની માંગણી, લાયકાત વિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, ફીની રસીદો ન આપવી, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા વગેરે જેવી અન્યાયી પ્રથાઓનો સમાવેશ થાય છે. તો કોના દબાણમાં કોંગ્રેસ સરકાર અને વિપક્ષના નેતાઓએ બિલનો અમલ થવા દીધો નથી અને અમને સવાલો પૂછ્યા છે. અમારી સરકાર પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવા અને ખાનગી સંસ્થાઓની મનસ્વીતાને રોકવા માટે પ્રતિબદ્ધ છે.

સરકારે પેપર લીકનો રેકોર્ડ બનાવ્યો: અખિલેશ યાદવ
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નીટ મુદ્દે કહ્યું કે સરકારે પેપર લીકનો રેકોર્ડ બનાવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે લોકસભામાં મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો. મોદી સરકાર પર નિશાન સાધતા અખિલેશે કહ્યું છે કે આ સરકારે પેપર લીકનો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નીટ મુદ્દે જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં એકપણ પેપર લીક થયું નથી. આના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. આવા મુદ્દાઓ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે. આ અંગે અખિલેશ યાદવે જોરદાર પ્રહારો કયર્િ હતા. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર અન્ય કોઈ રેકોર્ડ બનાવે કે ન બનાવે, પરંતુ આ સરકાર પેપર લીકનો રેકોર્ડ ચોક્કસ બનાવશે. ક્યારે, કેવી રીતે અને કઈ સંસ્થાની રચના થઈ તેની પૃષ્ઠભૂમિ મને ખબર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application