સુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો

  • April 30, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં થોડા દિવસો પહેલાં શિક્ષિકા અને વિદ્યાર્થીના રહસ્યમય રીતે ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. શિક્ષિકા અને 11 વર્ષનો વિદ્યાર્થી બંને શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંનેએ કંટાળીને બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોવાનું જણાવ્યું છે.


પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા પર્વત પાટિયા વિસ્તારની 23 વર્ષીય શિક્ષિકા તેના જ વિદ્યાર્થીને લઈને ક્યાંક ચાલી ગઈ હોવાની ફરિયાદ વિદ્યાર્થીના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આખરે બંને શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા છે.


પૂછપરછ દરમિયાન શિક્ષિકા અને વિદ્યાર્થીએ જણાવ્યું કે તેઓ ઘરેથી કંટાળી ગયા હતા અને તેથી ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકાએ જણાવ્યું કે તેને ઘરકામના કારણે પરિવાર તરફથી વારંવાર ઠપકો મળતો હતો. બંને અમદાવાદથી દિલ્હી અને વૃંદાવન ફરીને જયપુર ગયા હતા અને ત્યારબાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પરિવારને જાણ પણ કરી ન હતી.


જો કે, આ ઘટનામાં બંને વચ્ચે કોઈ પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગે હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે હાલ બંનેની પૂછપરછ ચાલુ રાખી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજમાં શિક્ષિકા વિદ્યાર્થીને લઈ જતી જોવા મળી હતી, જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં શિક્ષિકા કિશોરને લઈને ઊંઝા ગઈ હોવાની આશંકા હતી, અને તેનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન પાસે મળ્યું હતું. હવે બંને મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં અનેક સવાલો હજુ પણ વણઉકેલ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application