મંદિર છોડીને જવા ધમકી આપીને નાગેશ્વર મંદિરના પૂજારી દંપતી પરિવારને મારી નાખવાની ધમકી: મહિલાઓ સહિત ૧૫ સામે ફરિયાદ

  • January 18, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા એક પૂજારી દંપતીના ઘરમાં ઘુસીને આ જ વિસ્તારમાં રહેતા ૬ મહિલાઓ સહિત ૧૫ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રહેતા અને સેવા પૂજાના વ્યવસાય સાથે સંકળાયેલા જ્યોત્સનાબેન ગિરધરભારથી ગોસ્વામી નામના ૫૧ વર્ષના બાવાજી મહિલા ગઈકાલે તેમના ઘરે હતા, ત્યારે હેમાબેન હસમુખભારથી ગોસ્વામી, દક્ષાબેન અશોકભારથી ઉર્ફે મધુભારથી ગોસ્વામી, મીનાબેન દિનેશભારથી ગોસ્વામી, અલ્પાબેન પરેશભારથી ગોસ્વામી રિદ્ધિબેન પ્રશાંતભારથી ગોસ્વામી અને નયનાબેન જગદીશગીરી ગોસ્વામીએ ફરિયાદી જોશનાબેનને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, તેણીના પતિ ગિરધરભારથી ગોસ્વામીને પણ અન્ય આરોપીઓ અશોકભારથી ઉર્ફે મધુભારથી અર્જુનભારથી ગોસ્વામી, હસમુખભારથી લક્ષ્મણભારથી, પરેશભારથી કેશુભારથી, અભિષેકભારથી હસમુખભારથી, વિશાલભારથી અશોકભારથી, ઋષિભારથી સુરેશભારથી, યોગેશભારથી મનસુખભારથી, પ્રશાંતભારથી દિનેશભારથી અને ધવલભારથી મનસુખભારથી નામના શખ્સો દ્વારા તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને "નાગેશ્વર મંદિર ખાલી કરીને ચાલ્યા જજો. નહીં તો તમામ સામાન બહાર ફેંકી દઈશું"- તેવી ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.
આમ, મંદિરમાં સેવા પૂજાનો વારો લઈ લેવા માટે આ તમામ ૧૫ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીએ દંપતિ તથા તેમના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ ૧૪૩, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application