ગોંડલના જાટ યુવાનના મોત મામલે જયરાજસિંહના અજાણ્યા માણસ સામે એનસી કેસ નોંધ્યો, સામે ગણેશ જાડેજાએ પોલીસમાં આવી કરી અરજી

  • March 24, 2025 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના જાટ યુવાનના મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના અજાણ્યા માણસ સામે પોલીસે એનસી કેસ નોંધ્યો છે. જયારે સામાપક્ષે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ પિતા-પુત્ર બળજબરી પૂર્વક બંગલામાં ઘુસી ગયાની અરજી પોલીસમાં કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે એક પછી એક વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. તેમાના સગીરને માર મારમારવાના પ્રકરણમાં જયરાજસિંહ સામે આક્ષેપ થયા હતા અને આ મુદ્દો ગરમાયા બાદ ગઈકાલે બંને પક્ષ દ્વારા સમાધાન થતા ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું. પરંતુ જાટ યુવકના મોતનો મામલો હજુએ ગાજી રહ્યો છે.


પુત્રને મારકૂટ કર્યાનો આક્ષેપ
યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટ નામના યુવકના રહસ્યમય મોત મામલે મૃતકના પિતા રતનલાલ જાટે સ્થાનિક એટલે કે ગોંડલ પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા હતા. જે-તે વખતે તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઈક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગલાની બહાર તહેનાત શખ્સો તેને અને તેના પુત્રને બંગલાની અંદર લઈ ગયા હતા અને તેના પુત્રને મારકૂટ કરી હતી. 


ભારે વિવાદ સર્જનાર આ કેસમાં નવો વળાંક
ભારે વિવાદ સર્જનાર આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો. મૃતકના પિતા રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું. જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.


બંને અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોંપવામાં આવી
બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલામાં ગેરકાયદે પ્રવેશી પોલીસને અરજી આપી છે. અરજીમાં જણાવ્યું છે કે બંને પિતા-પુત્ર બંગલામાં કામ છે તેમ કહી ઘૂસી જતાં બંગલામાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી. ત્યાર પછી બંને પિતા-પુત્ર મોબાઈલને લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા. જેથી બંનેને બંગલામાંથી બહાર જવાનું કહેવાતાં રતનલાલ તો તૈયાર થઈ ગયા હતા. પરંતુ તેનો પુત્ર મૃતક રાજકુમાર બંગલામાંથી બહાર જવા તૈયાર ન હતો. એટલું જ નહીં ખુરશી પકડીને ઉભો રહી ગયો હતો. મહામહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો. બંને અરજીની તપાસ જેતપુરના પીઆઈને સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application