ધોરાજીમાંથી બે દાયકા પૂર્વે ગુમ થયેલા વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવાયું

  • May 15, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને ધોરાજી સિટી પોલીસે સાર્થક કર્યું છે. ધોરાજીમાં 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વ્યક્તિનું પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારજનોએ તો તેમના જીવિત હોવાની આશા પણ મૂકી દીધી હતી. ત્યારે પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે ડીવાયએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા પોલીસની ટીમ તપાસમાં હતી. દરમિયાન ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે.ગોધમના માર્ગદર્શન હેઠળ ધોરાજીના જુના ઉપલેટા રોડ પર રાધાનગરમાં રહેતા હારૂનભાઈ સુલેમાનભાઈ શેઠા(ઉ.વ 62) માનસિક બીમાર હોય આજથી ૨૦ વર્ષ પૂર્વે 2005માં પોતાના ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. જે હાલ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના નૂરપુર ખાતે મળી આવતા ત્યાંની સ્થાનિક પોલીસ સાથે ધોરાજી સિટી પોલીસે સંપર્ક કરી ગુમ થનારા હારૂનભાઇ ધોરાજીના હોય જેથી પોલીસની ટીમે તેમના પરિવારની શોધખોળ શરૂ કરી હતી.


હારૂનભાઈને અહીં ધોરાજી લાવવામાં આવ્યા હતા. બાદમાં તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બે દાયકા પૂર્વે ઘરના સભ્ય ગુમ થયા બાદ પરિવારજનોએ તેમના જીવિત થવાની આશા પણ છોડી દીધી હતી. તેવા સંજોગોમાં પોલીસે પરિવારના સભ્યને શોધી કાઢતા આ પરિવારે પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ કામગીરીમાં ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે.ગોધમ, પીએસઆઇ પી.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા, પંકજભાઈ તલસાણીયા, કોન્સ્ટેબલ નારણભાઈ,શક્તિસિંહ અને યોગેશભાઈ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application