દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

  • June 13, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાકાંઠા વિસ્તારના પ્રવાસન સ્થળો, બીચ પર પ્રતિબંધ: જિલ્લામાં ૧૮૦૦ થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા

સંભવીત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોને સલામતી અંગેનો વિશ્વાસ અપાવ્યો હતો.
સંભવિત વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવા અંગે  સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સંબંધિત વાવાઝોડા ધ્યાને લેતા વરવાળા સાયકલોન સેન્ટર ખાતે ૨૦૦ કરતા વધારે અસરગ્રસ્તોને આશ્રય આપવામાં આવ્યો છે.
તેમની સાથે દ્વારકાના પબુભા માણેક, રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી સેરઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઊપસ્થિત રહયા હતા.
**
દરિયાકાંઠા વિસ્તારના પ્રવાસન સ્થળો, બીચ પર પ્રતિબંધ
હવામાન વિભાગ દ્વારા હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી વાવાઝોડું ઉદ્દભવેલ છે. જે આગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહીત સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાઓ ઉછળવાની પ્રબળ શક્યતા હોય, આ સમય દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ચક્રવાત અને હાઇટાઇડ ભરતીના મોજાથી જાનમાલને નુક્શાન થતુ અટકાવવા માટે આગમચેતીના પગલાં રૂપે જિલ્લામાં આવેલ દરિયાકાંઠાનો વિસ્તાર, દરિયાકાંઠા વિસ્તારના પ્રવાસન સ્થળો, બીચ પર લોકોની અવર-જવર તથા પશુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં તેમજ જિલ્લામાં દરિયા કિનારે આવેલ ગોમતી ઘાટ, શીવરાજપુર બીચ સહિતના તમામ પ્રવાસન સ્થળોએ કોઇ પણ વ્યક્તિને પ્રવેશ/અવર-જવર તથા પશુઓને લઇ જવા પર તા. ૧૬ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામુ ઇમરજન્સી સેવામાં રોકાયેલી એમ્બ્યુલન્સ, સરકારી ફરજ પરના અધિકારી, કર્મચારીઓ તથા ફાયર સર્વિસને લાગુ પડશે નહીં.
**
જિલ્લામાં ૧૮૦૦ થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા દરિયાકાંઠાના ગામોમાં લોકોને સાવચેત અને અવગત કરવામાં આવી રહ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં બે એસ.ડી.આર.એફ.ની ટીમ અને એક એન.ડી.આર. એફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે બપોરે ૨ વાગ્યા સુધીમાં ૧૮૦૦ થી વધુ લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ટીમો કાર્યરત છે. આ ઉપરાંત જોખમી હોર્ડિંગ પણ દૂર કરવામાં આવ્યા છે.
દરિયાકાંઠાના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા તથા સલામતીના પગલાં ભરવા ગામમાં માઇક સાથેની રિક્ષાઓ ફેરવવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગામોમાં રાહત અને બચાવ માટે ટુકડીની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્ધટ્રોલરૂમમાં ક્લાસ ૧-૨ના અધિકારીઓ અને કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.
**
એન.ડી.આર.એફ.ની એક, એસ.ડી.આર.એફ.ની બે ટૂકડી તહેનાત
દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા બિપરજોયના ખતરા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જિલ્લામાં હાલ એન.ડી.આર.એફ.ની એક તથા એસ.ડી.આર.એફ.ની બે ટૂકડી તહેનાત કરી દેવામાં આવી છે.
આ માહિતી આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ જણાવ્યું હતું કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે રાત્રે જ દ્વારકા આવી ગયા હતા અને તેઓએ મોડીરાત સુધી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં ઘટતી સાધન-સામગ્રીઓ પણ સત્વરે ઉપલબ્ધ કરવવા સંબંધિત તંત્રને સૂચના આપી હતી. કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા મંગળવારે દ્વારકા આવશે. જ્યારે પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી પણ દ્વારકામાં ઉપસ્થિત છે.
જિલ્લામાં રોડ પર પડેલા વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગની રાજ્ય અને પંચાયતની ટીમો ખડેપગે કામ કરી રહી છે. જ્યારે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા તેમજ સંલગ્ન વ્યવસ્થા માટે પીજીવીસીએલના બંને ડિવિઝન દ્વારા ટીમોની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત કંટ્રોલરૂમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટી વગેરેનો સંપર્ક કરીને માહિતી મેળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ-ખાનગી કંપનીનો સહયોગ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application