લોધીકા, સોમનાથ સાડા પાંચ ઇંચ સહિત 75 તાલુકાઓમાં મેઘસવારી

  • July 10, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાની ચાલુ સિઝનમાં મેઘરાજાએ પાંચ છ દિવસના વિરામ બાદ ગઈકાલથી ધૂંઆધાર પધરામણી કરતા રાજકોટના લોધીકા, ગીર સોમનાથના વેરાવળ પાટણ પંથકમાં પાંચથી સાડા પાંચ ઇંચ વરસાદ ત્રાટક્યો હતો. જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર, માળીયા હાટીના, કેશોદ, મેંદરડા, દેવભૂમિના ભાણવડ, રાણાવાવ પંથકમાં ત્રણથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગઈકાલની આ મેઘપધરામણીમાં જામનગર જિલ્લાના છ તાલુકામાં અડધોથી માંડીને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ વીજળીના કડાકા ભડાકા સાથે આગમનને કારણે જામજોધપુરના બુટાવદર અને નરમાણા તેમજ જામનગરના દોઢિયા ગામોએ વીજળી ત્રાટકતાં જુદા જુદા ત્રણ માનવીના મૃત્યુના બનાવ બન્યા હતા.

સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલથી બીજા તબક્કાના વરસાદની ખુબ સારી શરૂઆત થઈ હોય તેમ રાજકોટ જિલ્લામાં લોધિકા પંથકમાં સાડા પાંચ ઇંચ, ધોરાજી સાડાત્રણ, જામકંડોરણા સવા બે ઇંચ, જ્યારે ગોંડલ, રાજકોટ, જેતપુર, ઉપલેટા પંથકમાં એક થી પોણા બે ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો, જ્યારે કોટડા સાંગાણી જસદણ પડધરી  વિછીયા પંથકમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના પાટનગર વેરાવળ પાટણમાં પાંચ ઇંચ, જ્યારે તાલાલામાં સાડા ત્રણ ઈંચ અને કોડીનાર, સુત્રાપાડા, ઉના પંથકમાં એક થી દોઢ ઇંચ તેમજ ગીર ગઢડા પંથકમાં પોણો ઈંચ વરસાદ પડવા પામ્યો હતો.જુનાગઢ જિલ્લામાં વંથલી માણાવદર માળીયાહાટીના પંથકમાં સાડા ચાર ઇંચ કેશોદ, મેંદરડા, વિસાવદર, માંગરોળ પંથકમાં બેથી સાડા ત્રણ ઇંચ અને જુનાગઢ શહેર ગ્રામ્યમાં દોઢ ઇંચ વરસાદ હતો.

દેવભૂમિ દ્વારકા શહેરમાં ઝાપટા પડ્યા હતા, પરંતુ ભાણવડમાં સાડા ત્રણ ઈંચ, કલ્યાણપુર અને ખંભાળિયામાં પોણોથી સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર શહેરમાં અઢી, કુતિયાણામાં સવા બે ઇંચ અને રાણાવાવ પંથકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લા ઉપર પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હોય તેમ ચોટીલા પંથકમાં પોણા ત્રણ ઇંચ, ધ્રાંગધ્રા, મુળી, સાયલા, દસાડા પંથકમાં સવાથી દોઢ ઇંચ, થાનગઢ, વઢવાણ લીંબડી પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં બગસરા પોણા ત્રણ ઇંચ, કુંકાવાવ વડીયા પંથકમાં બે ઇંચ, જાફરાબાદ પંથકમાં એક ઇંચ વરસાદ પડવા ઉપરાંત અમરેલી શહેર, બાબરા, લીલીયા, રાજુલા, ધારી, સાવરકુંડલા પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ પડી જવા પામ્યો હતો.

કચ્છના નખત્રાણા પંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવી હોય તેમ નખત્રાણા ત્રણ ઇંચ, અંજાર, ગાંધીધામ, અબડાસા પંથકમાં બેથી અઢી ઇંચ, રાપર, માંડવી, મુન્દ્રા, ભુજ પંથકમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર, જોડિયા, જામનગર શહેર પંથકમાં એક થી પોણા બે ઇંચ અને ધ્રોલ, કાલાવડ પંથકમાં અડધો થી પોણો વરસાદ પડી જવા પામ્યો હતો. પરંતુ જામનગર જિલ્લામાં વરસાદ તોફાની બન્યો હોય તેમ જામજોધપુરના બુટાવદર ગામે અને નરમાણા ગામે વીજળી પડવાથી બે માનવીના અને જામનગરના દોઢીયા ગામે ખેડૂત મહિલાનું મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત મોરબી શહેરમાં એક ઈંચ માળિયા મીયાણા વાંકાનેર હળવદમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ, ભાવનગરના તળાજા પાલીતાણા મહુવા સિહોર પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ ત્યારે બોટાદ અને ગઢડા સ્વામીના પંથકમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના કુલ 90 તાલુકામાંથી 75 તાલુકામાં મેઘસવારી આવી પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application