જસદણના પંથકના એક ગામમાં પરિણીતાની પજવણીનો બનાવ બન્યો છે. રાત્રીના દીવાલ ટપી ઘરમાં ઘુસી જઈ નરાધમે 50 વર્ષી મહિલા પાસે શરીર સંબંધની માંગણી કરી હતી. પરંતુ મહિલા તાબે ન થતા નરાધમે મારમારી અર્ધબેભાન કરી દીધી હતી. બનાવ અંગે જસદણ પોલીસે જાતીય સતામણી, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જસદણના એક ગામમાં રહેતી 50 વર્ષીય મહિલાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ શખસ લાલા અજા ઉર્ફે અરજણભાઈ સાકરીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.22/12/2025 ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે મહિલા પોતાના ઘરે હાજર હતા. ત્યારે ગામમાં જ રહેતો શખસ ઘરે ધસી આવી દરવાજો ખખડાવ્યો હતો. જો કે, આધેડ મહિલા ઘરમાં એકલા હોવાથી તેમણે દરવાજો ખોલ્યો ન હતો.
બાદમાં નરાધમ ફરિયાદીના મકાનની પાછળની દીવાલ ટપીને ઘરમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ફરિયાદી પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા મહિલાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જે બાદ ઉશ્કેરાયેલા શખસે તાબે ન થનાર મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી દીધા હતા. બાદ હવસખોરે ઢીકાપાટુનો માર મારતા મહિલા અર્ધબેભાન થઇ ગઈ હતી. બાદમાં મહિલા ભાનમાં આવતા તેણી ઘરમાં એકલી પડેલી હાલતમાં હતી અને આરોપી ક્યાંય જોવા મળ્યો ન હતો.
બનાવ અંગે મહિલાએ તેના પતિ, જમાઈ સહિતનાને ફોન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. બાદ સમગ્ર બનાવની જાણ પોલીસને કરાતા જસદણ પોલીસની ટીમ દોડી આવી હતી અને આધેડ મહિલાની ફરીયાદ પરથી લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયા વિરુદ્ધ જાતીય સતામણી, હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.