બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીમાં કામ કરતા 27 વર્ષીય હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસને ગુરુવારે એક ટોળાએ ઈશનિંદાના આરોપ બાદ માર માર્યો હતો. જો ફેક્ટરી મેનેજમેન્ટે સમયસર પોલીસને જાણ કરી હોત તો દીપુનો જીવ બચાવી શકાયો હોત. તેના બદલે, ફેક્ટરી સુપરવાઈઝરોએ તેને રાજીનામું આપવા દબાણ કર્યું, તેને કાર્યસ્થળ પરથી હાંકી કાઢ્યો અને તેને હિંસક ઇસ્લામી ટોળાને સોંપી દીધો, જેણે તેની ક્રૂરતાથી હત્યા કરી, તેના મૃતદેહને લટકાવી દીધો અને પછી તેને આગ લગાવી દીધી હતી.
રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપુ ચંદ્ર દાસ સામે ઈશનિંદાના આરોપોની કોઈ નક્કર પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે દીપુએ શું કહ્યું કે કર્યું જેનાથી વિવાદ થયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટરીના ફ્લોર સુપરવાઈઝર અને ક્વોલિટી સુપરવાઈઝરે દીપુને પોલીસને સોંપવાને બદલે ટોળાને સોંપી દીધો. સીસીટીવી ફૂટેજ અને વીડિયોની સમીક્ષા કર્યા પછી, અત્યારસુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
તપાસકર્તાઓ કહે છે કે આ હત્યા હિંસાના અચાનક ફાટી નીકળવાનું પરિણામ નહોતું, પરંતુ પૂર્વયોજિત આયોજનના સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે. બળજબરીથી રાજીનામું, પોલીસને જાણ કરવામાં વિલંબ અને અંતે દીપુની ટોળા સમક્ષ શરણાગતિ, આ બધું પૂર્વયોજિત ષડયંત્રનો ક્રમ દર્શાવે છે. દેશનિકાલ કરાયેલ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હત્યા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, શંકા વ્યક્ત કરી હતી કે પોલીસ પણ તેમાં સામેલ હોઈ શકે છે. તેણીએ પૂછ્યું હતું કે આ જઘન્ય હત્યાના ગુનેગારોને કોણ ન્યાયના કઠેડામાં લાવશે?
દિપુ ચંદ્ર દાસના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને દોઢ વર્ષનો બાળક છે, જેણે હવે પિતાની છત્રછાંયા ગુમાવી છે. આરએબી-14 કમાન્ડર નૈમુલ હસને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફેક્ટરીની અંદર સાંજે ચાર વાગ્યાની આસપાસ હિંસા શરૂ થઈ હતી. તેમણે કહ્યું, ફેક્ટરીના ફ્લોર ઇન્ચાર્જે દીપુને રાજીનામું આપવા દબાણ કર્યું અને તેને ઉશ્કેરાયેલા ટોળાને સોંપી દીધો હતો. અમે ફેક્ટરીના બે અધિકારીઓની ધરપકડ કરી છે કારણ કે તેઓ દીપુની સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા હતા.
શિફ્ટ ચેન્જ પર ભીડ ઉભરાઈ ગઈ
એક અહેવાલ મુજબ, શિફ્ટ ચેન્જ દરમિયાન ફેક્ટરીની બહાર મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા. સમાચાર ફેલાતા સ્થાનિકો પણ ત્યાં પહોંચ્યા હતા. રાત્રે લગભગ 8:45 વાગ્યે ટોળાએ ફેક્ટરીનો દરવાજો તોડી નાખ્યો અને દીપુને સુરક્ષા રૂમમાંથી બહાર કાઢ્યો હતો. ફેક્ટરીમાંથી બહાર કાઢ્યા પછી, સ્થાનિક લોકો પણ હુમલામાં જોડાયા હતા. દીપુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, તેના મૃતદેહને ઢાકા-મૈમનસિંહ હાઇવે પર લટકાવવામાં આવ્યો અને પછી તેને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ ઘણા કલાકો સુધી વણસી રહી હતી, પરંતુ ફેક્ટરી મેનેજમેન્ટ સમયસર પરિસ્થિતિની જાણ કરવામાં નિષ્ફળ ગયું હતું. ઔદ્યોગિક પોલીસ અધિક્ષક એમડી ફરહાદ હુસૈન ખાને જણાવ્યું હતું કે, જો સમયસર ફોન આવ્યો હોત તો દીપુનો જીવ બચાવી શકાત.
ટ્રાફિકજામ એક મોટો અવરોધ બન્યો
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઘટના સમયે આશરે દસ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેના કારણે પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણો વિલંબ થયો હતો. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં ટોળું દીપુનો મૃતદેહ હાઇવે પર લઈ ગયા હતા. ફેક્ટરી મેનેજમેન્ટે બેદરકારીનો ઇનકાર કર્યો છે. સિનિયર મેનેજર સાકિબ મહમૂદે દાવો કર્યો છે કે આરોપો માટે કોઈ પુરાવા નથી અને પરિસ્થિતિને શાંત કરવા માટે બનાવટી રાજીનામું મેળવવામાં આવ્યું હતું. જો કે, તપાસ એજન્સીઓ માને છે કે દીપુને જાણી જોઈને ટોળાને સોંપવામાં આવ્યો હતો.