ગુજરાતભરની કોર્ટમાં વકીલોને જુલાઈ માસ સુધી કાળો કોટ પહેરવામાંથી મુક્તિ, જાણો શું કામ

  • March 24, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન શાસ્ત્રીઓ દ્વારા ઉનાળામાં પડતી અસહ્ય ગરમીની આગાહી કરવામાં આવી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજુઆતથી હાઇકોર્ટ દ્વારા વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં ૧ એપ્રિલથી જુલાઈ માસ સુધી આ કાળા રંગના કોટની જગ્યાએ સફેદ શર્ટ ઉપર બાર કાઉન્સિલના મોનોગ્રામવાળી ટાઇ પહેરી શકશે તેવું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓને કાળા રંગનો કોટ સહિત ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજીયાત હોય જે મુજબ તાલુકા અને જિલ્લાની અદાલતોમાં ટાઈ અને કાળો કોટ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે. પરંતુ ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં કાળો કોટ પહેરવાને કારણે ગરમીનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હતો. ધારાશાસ્ત્રીઓ પરસેવે રેબઝેબ થઇ જતા જેથી ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડતું હતું. આ સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી જુદા-જુદા સમયે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જરૂરી રજૂઆતો કરવામાં આવેલ હતી. જેના સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક ખાસ કમિટી બનાવી ડ્રેસ-કોડ બાબતે મુદ્દો તૈયાર કરી રાજ્યના ચીફ જસ્ટીસ સમક્ષ ડ્રેસ-કોડ બાબતે રજુઆત કરવામાં આવી હતી.


બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં રાખી હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૩૫ તથા ક્રિમીનલ મેન્યુઅલ ૧૯૭ અનુસાર એક ખાસ નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ અને જે ઉનાળાના સમય દરમિયાન દર વર્ષે તારીખ ૧લી એપ્રિલ થી ૩૧મી જુલાઈ સુધી નીચલી અદાલતો (તાલુકા અદાલતો), સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં વ્યવસાય કરતા ધારાશાસ્ત્રીઓને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓને સફેદ શર્ટ, સફેદ કોલર સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ ફરજીયાત પહેરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application