કચ્છના સ્મૃતિ વન ભુકંપ મેમોરિયલ મ્યુઝિયમને વૈશ્ર્વિક સ્તરે માન્યતા મળી છે.
પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજયસરકારવતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જી.એસ.ડી.એમ.એ.ના સી.ઈ.ઓ. અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્મૃતિવન ભુકંપ મેમોરિયલ મ્યુઝિયમને ૨૦૨૪ ના વર્ષની શઆતમાં વિશ્ર્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું હતુ.
હવે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબુત કરીને પ્રિક્સ વર્સેલ્સ ૨૦૨૪ વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ પ્રિક્સ વર્સેલ્સે વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે.
ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના ગોઝારા ભુકંપે જ્યારે કચ્છને ઘમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભુકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સ્મૃતિ વનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે.મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે.
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જી.એસ.ડી.એમ.એ.) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
સ્મૃતિવનએ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શુન્યમાંથી સર્જનનું ચિત્ર રજુ કરતો એક જીવંત દસ્તાવેજ છે.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિ વન ભુજના ભુજિયો ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
અહી, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં ત્રણ લાખ વૃક્ષો છે. ઉપરાંત ભુકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ ૧૨,૯૩૨ પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા ૫૦ ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે.
આ ઉપરાંત સન પોઇન્ટ, ૮ કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, ૧.૨ કિમી આંતરિક રોડ,૧ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, ૩ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, ૩૦૦ થી વધુ વર્ષ જુના કિલ્લાનું નવિનીકરણ,૩ લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને ૧૧,૫૦૦ ચોરસ મીટરમાં ભુકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
૨૦૦૧ માં આવેલા ભુકંપની અનુભુતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે,જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે.૩૬૦ ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી ૨૦૦૧ માં આવેલા ભુકંપની અનુભુતિ કરી શકાય છે.કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech