એ ડોસલાને ખતમ જ કરી નાખો

  • October 03, 2023 12:09 PM 

એક આખો વર્ગ છે જે માને છે કે ગાંધીએ સ્વરાજ અપાવ્યું નથી. ગાંધીએ જ પાકિસ્તાન બનવા દીધું. ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવા ભારતના તત્કાલીન નેતૃત્વને ફરજ પાડી. ગાંધીએ ભેદભાવ રાખ્યો. ગાંધીએ સરદાર વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન બનવા ન દીધા અને નહેરુને ધરાર વડાપ્રધાન બનાવ્યા. ગાંધીએ શહીદ ભગતસિંહને ફાંસીએ ચડતા બચાવ્યા નહીં. ગાંધીએ પોતાના બ્રહ્મચર્યના પ્રયોગ માટે એક યુવતીની આબરૂ જોખમમાં મુકી. આવા અસંખ્ય મુદ્દાઓ છે જેને એક વર્ગ વળગી રહ્યો છે અને તે માને છે કે ગાંધીને અમથો જ મહાન બનાવી દેવામાં આવ્યો છે. એ વર્ગ માને છે કે એ ડોસલાને તો ખતમ જ કરી નાખવો જોઈએ, ભારતના માનસપટ પરથી. એ વર્ગને સમજાવવા માટે આ આર્ટિકલ નથી. અને, ગાંધીના સમર્થકોને ખુશ કરવા માટે પણ આ લખાઇ રહ્યું નથી. ગાંધીનો વિરોધી વર્ગ અને તરફદાર વર્ગ બંનેની એક જ સમસ્યા છે, ગાંધીને તેમણે જાણ્યો નથી. ગાંધી વિરોધીઓને પાંચ-પંદર બાબતો ગોખાવી દેવામાં આવી છે. એનાથી આગળ ગાંધી વિશે તેઓ કશુ જાણતા નથી. વિરોધીઓને વધુ વિગતોનો ખ્યાલ ન હોય એ સમજી શકાય એવું છે પણ, ગાંધીને સમજનારા અમુક આંગળીના વેઢે ગણાય એવા નિષ્ઠાવાન ગાંધીપ્રેમીઓને જો બાદ કરવામાં આવે તો બાકીના ગાંધી તરફીઓને પણ આ ડોસલા બાબતે બહુ જ ઓછી સમજ છે. હા, તેઓ ગાંધીને પૂજ્ય માને છે, ગાંધીને આદર્શ માને છે, ગાંધીને મહાત્મા માને છે એમાં કોઇ શક નથી. ગાંધી પ્રત્યેનો તેમનો આદર શંકાથી પર છે. પણ, એ આદર થોડી ઘણી વાતો, થોડી વાર્તાઓ, થોડા ક્વોટ, થોડા પ્રસંગો અને બાળપણમાં પાઠ્ય પુસ્તકમાં વાંચેલા પાઠથી જ પેદા થયો છે. એ આદર ઉપયોગી નથી.


આટલા ખૂલાસા પછી ગાંધીની વાત માંડીએ. ખૂલાસો એટલા માટે શરૂઆતમાં જ કરવો પડ્યો છે કે અત્યારે ભારતમાં ગાંધી વિરોધી, ગાંધી તરફી અને ગાંધીથી અજાણ એવા ત્રણ વર્ગો છે જે ગાંધી વિશે લખાતી કોઇપણ બાબતનો પોત પોતાની રીતે અર્થ કાઢી લે છે.
  ગાંધી જયારે ભારતમાં સત્યાગ્રહ, નિ:શસ્ત્ર પ્રતિકાર અને અહિંસાની લડત લડી રહ્યા હતાં ત્યારે પૃથ્વીના બીજા છેડે અમેરિકામાં જનરલ ડગલાસ મેક આર્થર નામના એક સેનાપતિ યુધ્ધકળામાં નામના બનાવી રહ્યા હતાં. ગાંધીની જયારે હત્યા થઇ ત્યારે મેક આર્થર વિશ્વના સૌથી કાબેલ સેનાપતિ તરીકે સ્થાપિત થઇ ચૂકયા હતાં અને જાપાનને નમાવી ચૂક્યા હતાં. ગાંધી અને મેક આર્થર વિશ્વના બે છેડે, એકબીજાથી તદ્દન ભિન્ન એવી માનસિકતા સાથે ઉભા હતાં. એક તરફ અહિંસક રસ્તે શત્રુને જીતવાની વાત હતી, બીજી તરફ હિંસાના માર્ગે દુશ્મનને પરાસ્ત કરવાની નેમ હતી. ગાંધીની જયારે હત્યા થઇ ત્યારે વિશ્વભરમાંથી સંદેશા આવ્યા. તેમાં મેક આર્થરનો સંદેશો હતો, દુનિયાએ જો બચવું હશે તો કયારેક તો ગાંધીના માર્ગે ચાલવું પડશે. આ એવા વ્યક્તિના શબ્દો છે જે હિંસક માર્ગે સફળતા મેળવનાર હતો, લાખો જાપાનીઓના મોત માટે જવાબદાર હતો.


ગાંધીની મજા એ છે કે તેની વિચારધારાની તદ્દન સામા છેડે બેઠેલાએ પણ ગાંધીની પાસે જ જવુ પડે છે. મને-કમને પણ ગાંધીનો જ આશરો લેવો છે. આ ગાંધીની તાકાત છે. થોડાં વર્ષો પહેલા જયારે ભારતનો રાજવટ બદલાયો ત્યારે અનેક ગાંધી વિરોધીઓને એવું લાગવા માંડ્યું હતું કે હવે તો આપણી સત્તા આવી, હવે આપણે ગાંધીને દફનાવી દઇ શકીશું. એ માટેના ઉધામા પણ થયા. ગોડસેના મંદિર બાંધવાના પ્રયાસ થયા અને ગાંધીના ચિત્રોને ગોળીઓ મારવાના નાટક પણ થયાં. ગાંધીને ગાળો ભાંડવી એ તો દાયકાઓથી ચાલતું આવે છે એટલે એમાં નવાઇ નથી પણ, એ ગાળોમાં વધારો થયો. સોશિયલ મીડિયા પર ગાંધીને ડિફેમ કરવા માટે, તેની પ્રતિષ્ઠાના હનન માટે જબરદસ્ત પ્રયત્નો થયા. પણ, આ વિરાધીઓનું શિર્ષ નેતૃત્વ સમજદાર છે. તેમણે જોયું કે ગાંધી ઉપયોગી છે એટલે ગાંધીને પકડી રાખ્યા. પેલા વિરોધીઓ પણ પછી થોડા શાંત થયા. ગાંધીની આ તાકાત છે


 આ લખનાર જયારે સાત-આઠ વર્ષનો હશે ત્યારે કયાંક એક વાક્ય વાંચ્યું હતું, છેલ્લુ અટ્ટહાસ્ય ગાંધીનું હશે. ત્યારે આ વાકય બહુ સમજાયુ નહીં પણ ધીમે ધીમે એ વાકય સાચું પડતું ગયું. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસોએ ગાંધીનો સતત વિરોધ કર્યો એ જ સંઘની રાજકીય પાંખ ભાજપની બહુમતી સત્તા કેન્દ્રમાં આવે અને એના વડાપ્રધાન મોદી ગાંધી રસ્તે ચાલીને સ્વચ્છ ભારતનો નારો આપે, ગાંધી જયંતિએ સ્વચ્છતાના સોગંદ લેવડાવે ત્યારે સમજાય કે છેલ્લુ અટ્ટહાસ્ય તો ગાંધીનું જ.
  આવું થવા પાછળનું કારણ બહુ સાદું છે પણ જલ્દી સમજાય તેવું નથી. ગાંધી એક વ્યક્તિ નથી. ગાંધી એ એક વિચાર છે. તમે વ્યક્તિને મારી શકો, વ્યક્તિની આબરૂ ધૂળધાણી કરી શકો, વ્યક્તિને બરબાદ કરી શકો, વ્યક્તિના મોત પછી તેના પર સમાજ થૂંકે એવું આયોજન પણ તમારી પાસે તાકાત હોય તો કરી શકો. વ્યક્તિનું નામોનિશાન તમે ઇતિહાસમાંથી મીટાવી દઇ શકો, તમે નવી પેઢીને એ વ્યક્તિની વિરૂધ્ધ ઉભી કરી દઇ શકો પણ વિચારની તમે હત્યા કરી શકો નહીં. એને મિટાવી શકો નહીં.
સાચો ગાંધીપ્રેમી માણસ એ છે જે ભૂલો અને નબળાઇઓ બાબતે ગાંધીની ટીકા કરે છે અને સદગુણો બદલ પ્રશંસા પણ. આઝાદી પછી ગાંધીને મહાન અને માત્ર મહાન જ ચીતરી દેવાના એટલા પ્રયત્નો થયા કે તેમની નબળાઇઓને ઢાંકી દેવાનો ઉપક્રમ ચાલ્યો. કેટલાકે એ નબળાઇઓને પણ સબળાઈ ગણાવવા પ્રયત્ન કર્યો. એના પ્રતિકારરૂપે ગાંધી વિરોધીઓની સંખ્યા અને તીવ્રતા પણ વધી. ગાંધીને મહાન જ ગણાવવાવાળા ભક્તો આંધળા હતાં. જોકે, વિનોબા ભાવે જેવા કેટલાક વિરલા પણ પાક્યા જેમણે ગાંધીની ભક્તિ કરી પણ આંધળી નહીં. જયાં ગાંધીની ભૂલ દેખાઇ ત્યાં અત્યંત નમ્રતાથી આંગળી ચીંધી. ગાંધીની વિદાય પછી જયારે દંભી ગાંધીવાદીઓ પેદા થયા ત્યારે વિનોબા એ જમાતમાં ભળ્યા નહીં. તે પોતાને ગાંધીવાદી કહેવડાવવાથી દૂર રહ્યા. ગાંધીની નિષ્ફળતાઓની પણ વિનોબાએ ચર્ચા કરી. ગાંધી પ્રત્યે અનન્ય આદર છતાં તેમના વિચારોમાંની ઉણપ વિશે વિનોબાએ જરા પણ અચકાયા વગર વાત કરી. ગાંધીને એમના અનુયાયીઓમાં જો કોઈ સહુથી વધુ સમજી શક્યા હોય તો તે વિનોબા હતા. ગાંધી અનેક પાસાં ધરાવતો હીરો હતો અને દરેક પાસાંની આગવી ચમક હતી પણ તેને જો માત્ર બે જ ભાગમાં વહેંચવો હોય, અને એ વહેંચણી ખુબ જ મુશ્કેલ છે, તો તેને અધ્યાત્મિક ગાંધી અને આધીભૌતિક ગાંધી એમ બે ભાગમાં વહેંચી શકાય. ગાંધીની આજુબાજુના લોકોમાંથી ઘણા આધીભૌતિક ગાંધીને જાણી શક્યા. બહુ જુજ અધ્યાત્મિક ગાંધીને સમજી શક્યા કારણકે એટલી આધ્યાત્મિક સજ્જતા ધરાવનાર બહુ ઓછા હતા. ગાંધીની આસપાસના લોકોમાં વિનોબા જ એકમાત્ર એવા હતા જે આ બંને પાસાંમાં સમાન સજ્જતા ધરાવતા હતા. 


ગાંધીની એક નબળાઈ એ હતી કે તેમણે તેમની સાથે જોડાયેલા લોકોના વર્તન અને વ્યવહાર પર જેટલો ભાર મુક્યો એટલો તેમના અધ્યયન અને અભ્યાસ પર ન મુક્યો. કદાચ એ સમય જ એવો હતો કે ગાંધીને આ કરવાનો મોકો નહીં મળ્યો હોય. પણ એને કારણે ગાંધી ગયા પછી ગાંધીવાદીઓ એમના વિચારને જાળવી શક્ય નહીં. ગાંધી નામનો વિચાર જળવાયો નહીં એના પરિણામે આજે ગાંધીને યથાતથ સમજનારાઓ ઓછા છે. વિનોબામાં ગાંધી વિચાર તરીકે જીવતો રહ્યો હતો.
ગાંધી જેટલો ક્રિએટીવ અને ઇનોવેટીવ નેતા ભાગ્યે જ ભારતે જોયો છે. અહિંસા તો ગાંધી પહેલાંથી જ ભારતમાં હતી. ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૈનિક ભરતીનું કામ હાથમાં લીધું. તેમનું માનવું હતું કે પ્રજા શસ્ત્ર હાથમાં લેશે તો હિમતવાન બનશે. દેશ આખામાં ફરીને રંગરૂટ ભરતી કરી. ગુઅજારતમાં આવ્યા ત્યારે મહેનત છતાં કોઈ રંગરૂટ ન મળ્યા ત્યારે ગાંધીએ ચિડાઈને કહ્યું હતું કે અહીં વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મ એ બંનેએ મળીને ગુજરાતને બરબાદ કરી દીધું. એકે ભક્તિ શીખવી, બીજાએ અહિંસા શીખવી. ગાંધીને આવી વાંઝણી અહિંસા ખપતી નહોતી એટલે એમણે અહિંસાનું પણ સ્વારૂપ બદલી નાખ્યું. નિર્વેર રહેવું, નિશસ્ત્ર રહેવું અને પ્રતિકાર કરવો. પ્રતિકાર અને નિર્વેર બે એકબીજાથી સાવ ભિન્ન ચીજોને તેમણે સાથે જોડી અને એક અલગ જ સ્વરૂપ અહિંસાનું પેદા થયું. સત્યાગ્રહનો સાવ નવતર વિચાર આપનાર ગાંધીએ સર્વોદયનો પણ વિચાર આપ્યો. ગ્રામસ્વરાજનો વિચાર આપ્યો, દરિદ્રનારાયણની સેવાનો વિચાર આપ્યો (દરિદ્રનારાયણ શબ્દ મૂળ તો વિવેકાનંદે આપેલો છે), રેંટીયો આપ્યો (એ રેંટીયાએ આખા દેશને એક તાંતણે બાંધ્યો). એ પ્રયોગશીલ માણસે પોતાના પર પ્રયોગો કર્યા, સ્વજનો પર પ્રયોગો કર્યા, અનુયાયીઓ પર પ્રયોગો કર્યા. ભોજનમાં, વસ્ત્રોમાં, રહેણીકરણીમાં, રાજનીતિમાં, અર્થકારણમાં બધે જ નવા પ્રયોગો કર્યા. વિનોબાએ નોંધ્યું છે કે ગાંધી એના અંતિમ સમયમાં સમગ્ર ચિંતનની વાત બહુ કરવા માંડ્યા હતા. અત્યારે, એ માણસને ગોળીઓ ધરબી દીધાને પોણી સદી થઇ ગયા પછી પણ દેશ ગાંધીને સમગ્રપણે સમજી શક્યો છે ખરો?
​​​​​​​
  ગાંધીએ કહ્યું હતું કે સત્યને માપવા માટેનો ગજ કદી ટૂંકો ન બનો આજે સહુ પોતપોતાના માપની ફૂટપટ્ટીઓથી ગાંધીને માપે છે. વામણાની ફૂટપટ્ટી વામણી હોય એ ટૂંકો માપે. એમાં એનો શો દોષ? આ લખનાર માટે ગાંધી એ મહાત્મા પણ છે અને ગાંધીજી પણ. 
વિનોબાને કોઈએ પૂછ્યું કે ગાંધી કહેવાય કે ગાંધીજી? ગાંધીના કટ્ટર અનુયાયી વિનોબાએ જવાબ આપ્યો કે  જો એમણે વ્યક્તિ માનતા હો તો ગાંધીજી કહેવા, અને એમણે વિચાર માનતા હો તો ગાંધી કહેવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application