વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસીય સત્તાવાર મુલાકાતે પહોચ્યા છે.રાજધાની અમ્માનમાં અલ-હુસૈનિયા પેલેસ ખાતે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બંને નેતાઓએ ભારત-જોર્ડન દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી.
બેઠકમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, ખાતરો અને કૃષિ, માળખાગત સુવિધાઓ, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન અને વારસો જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર સંમતિ દર્શાવવામાં આવી. બંને નેતાઓએ આતંકવાદ સામે તેમના સંયુક્ત અને મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વાતચીત બાદ, રાજા અબ્દુલ્લા દ્વિતીયએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. મોદી રાજા અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર જોર્ડનની બે દિવસીય મુલાકાતે અહીં પહોંચ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, "અમ્માનમાં રાજા અબ્દુલ્લા દ્વિતીય સાથે મારી ફળદાયી ચર્ચા થઈ. ભારત-જોર્ડન વચ્ચેના અનોખા સંબંધોને મજબૂત બનાવવા માટેની તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. આ વર્ષે, આપણે આપણા દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ ઐતિહાસિક સિદ્ધિ આપણને ભવિષ્યમાં નવી ઉર્જા સાથે આગળ વધવા માટે પ્રેરણા આપશે.
8-મુદ્દાની યોજના પર કામ કરવામાં આવશે
પીએમ મોદીએ જણાવ્યું હતું કે જોર્ડન સાથે સંબંધોને મજબૂત બનાવવા માટે આઠ-મુદ્દાની યોજના તૈયાર કરવામાં આવી છે. આમાં વેપાર અને આર્થિક સહયોગ, ખાતરો અને કૃષિ, માહિતી ટેકનોલોજી, આરોગ્ય સેવાઓ, માળખાગત સુવિધાઓ, મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજો, નાગરિક પરમાણુ સહયોગ અને લોકો-થી-લોકોના સંબંધોનો સમાવેશ થાય છે.જોર્ડનના પ્રધાનમંત્રીએ કહ્યું, "આજે જોર્ડનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માનિત મહેમાન તરીકે સ્વાગત કરવું અમારા માટે સન્માનની વાત છે. આ મુલાકાત આપણા 75 વર્ષના ગાઢ અને સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું, અમે આપણા બંને દેશો વચ્ચે, ખાસ કરીને આર્થિક, રોકાણ અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં સહકારના નવા પરિમાણો શોધવા માટે ઉત્સુક છીએ.
૩૭ વર્ષ પછી જોર્ડનની દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં અમ્માન પહોંચ્યા હતા. આ મુલાકાત પહેલા, તેમણે જણાવ્યું હતું કે જોર્ડનની તેમની મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપશે. જોર્ડનની આ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત ૩૭ વર્ષ પછી થઈ રહી છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૭૫મી વર્ષગાંઠ સાથે સુસંગત છે.ભારત અને જોર્ડન વચ્ચે મજબૂત આર્થિક સંબંધો છે, અને દિલ્હી અમ્માનનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૨.૮ અબજ યુએસ ડોલરનો છે. જોર્ડન ભારતમાં ખાતરો, ખાસ કરીને ફોસ્ફેટ અને પોટાશનો મુખ્ય સપ્લાયર પણ છે. આ આરબ દેશમાં ૧૭,૫૦૦ થી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે, જે કાપડ, બાંધકામ અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.