અમરોલી વિસ્તારમાં કિલનીક ચલાવતા ફિઝીયોથેરાપીસ્ટને પોતે રેલવેમાં સિનીયર લોકો પાયલોટ હોવાની ઓળખ આપી રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી રૂ. ૪૭.૨૬ લાખ પડાવનાર ભેજાબાજ સંબંધી અને જામનગર જીલ્લાના કાલાવડના શખ્સ સહિત બેની અમરોલી પોલીસે ધરપકડ કરી છે, આશ્ર્ચર્યની બાબત એ છે કે ભેજાબાજે રત્નકલાકાર એવા બાળપણના મિત્ર સહિત અન્ય ત્રણને પણ રેલવેમાં નોકરીની લાલચ આપી વધુ રૂ. ૫૪.૮૫ લાખ પડાવ્યાનું પણ બહાર આવ્યું છે.
અમરોલીના ક્રોસ રોડ શોપીંગ સેન્ટરમાં ફિઝીયોથેરાપી કિલનીક ચલાવતા ડો. વિરાજ જગદીશ ચોટલીયાને ફેબ્રુઆરી ૨૦૨૫માં સબંધી વિવેક પ્રફુલ ચૌહાણ (ઉ.વ.૩૨) રહે. સહજાનંદ સોસાયટી, શાપુર, જુનાગઢ એ પોતે રેલવેમાં સિનીયર લોકો પાયલોટ છું અને રેલવેમાં એક સીટી ઉપર નોકરી આપવાની ઓથોરીટી છે અને હાલ રેલવેમાં સ્પેશીયલ કવોટની સીટ છે, એમ કહી નોકરીની લાલચ આપી રૂ. ૪૭.૩૬ લાખ પડાવી લીધા હતા એ પ્રકરણમાં પોલીસે વિવેક અને રેલવેના અધિકારી તરીકે જેની ઓળખ આપી હતી તે રવિ કિશોર ચોટલીયા (ઉ.વ.૩૦) રહે. કુંભનાથ પરા, કાલાવડ, જામનગરની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે વિવેકે સબંધી એવા ફિઝીયોથેરાપી ડો. વિરાજ ચોટલીયાને જ નહી પરંતુ તેના રત્નકલાકાર એવા બાળપણના મિત્ર વિજય ચાવડાને વર્ષ ૨૦૨૦થી ૨૦૨૨ દરમ્યાન રેલવેમાં નોકરીની લાલચ આપી રૂ. ૩૩.૧૦ લાખ ઉપરાંત સોહીલ શર્મા નામના વ્યકિતને રેલવેમાં એ.સી. મિકેનીક પાયલોટ તરીકેની નોકરીની લાલચ આપી રૂ. ૬.૭૫ લાખ અને જીલાની કુરેશી નામની મહિલાને પણ નોકરીની લાલચ આપી રૂ. ૧૫ લાખ પડાવ્યા હતા, જે પૈકી વિજય ચાવડાએ વિવેક વિરુઘ્ધ ચોકબજાર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.