પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) જામનગર વર્તુળ દ્વારા જનતા વચ્ચે વીજ સલામતી તથા ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી સાંજે ૫:૦૦ વાગ્યે લાલબંગલો કંપાઉન્ડ પરથી પ્રારંભ કરવામાં આવી હતી. રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જનતાએ ભાગ લીધો હતો. રેલી દરમ્યાન વીજ સલામતી રાખો જીવન સુરક્ષિત બનાવો, ઊર્જા બચાવો ભવિષ્ય બચાવો જેવા સુત્રો ધરાવતા બેનર અને પોસ્ટરો દ્વારા જનતાને સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલી દરમિયાન લોકોને ઘરેલું તથા ઔદ્યોગિક સ્તરે વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ કરવા, ખુલ્લા વાયરથી દૂર રહેવા, વીજ અકસ્માતોથી બચવા જરૂરી તકેદારી રાખવા તેમજ અનાવશ્યક વીજ વપરાશ ટાળીને ઊર્જા સંરક્ષણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, પીજીવીસીએલ જામનગર વર્તુળ દ્વારા આયોજિત આ જનજાગૃતિ કાર્યક્રમથી નાગરિકોમાં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો.