આજે જામનગર મહાનગર પાલિકાના વોર્ડ ૧૦ માં સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી ને પ્રજા ની વચ્ચે ઉપસ્થિત રહ્યા: લોકોના પ્રશ્નોને વાચા આપી
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના 'જનતાની સેવા માટે જનતા ના દરવાજે' શીર્ષક હેઠળ નો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે, અને જુદા જુદા વોર્ડમાં લોકોની વચ્ચે જઈને તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર ૧૦માં તેઓ પ્રજાની વચ્ચે ઉપસ્થિત થયા હતા, અને ત્યાંની જનતાના પ્રશ્નોને સાંભળીને તેઓને વાચા આપવા માટેના પ્રયાસ કર્યા છે.
વોર્ડ નંબર ૧૦માં સ્થાનિક કોર્પોરેટર અને હાલ નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ઉપરાંત તેઓના સાથી કોર્પોરેટર આશાબેન રાઠોડ, પાર્થ જેઠવા અને મુકેશભાઈ માતંગ સાથે આજે સવારે ૯.૩૦ વાગ્યા થી ધનબાઈ ના ડેલા પાસે આવેલી ખવાસ જ્ઞાતિની વાડીમાં યોજાયેલા જનતા દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, ઉપરાંત વોર્ડના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણ, તથા વોર્ડના મહામંત્રી અને અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.
ઉપરોક્ત વિસ્તારના નાગરિકોએ હાજર રહી ને પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ સાથે જોડાયેલા સ્થાનિક કોર્પોરેટરોએ તમામ મુદ્દાની નોંધ લીધી હતી.
આ વોર્ડમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગવંતુ બનાવાયું
વોર્ડ નાં ૧૦માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી જનતાની સેવામાં જનતાની વચ્ચે ઉપસ્થિત રહીને તેઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાનના સંદેશો આપ્યા છે, તે સંદેશા ને સાકાર કરવા માટે ધારાસભ્ય દ્વારા સર્વે જનતાને પ્લાસ્ટિકની ઉપયોગ નહીં કરવા જણાવીને ઉપસ્થિત તમામ નાગરિકોને કાપડની બેગ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.