BREAKING NEWS

ઇરાને હોર્મુઝમાં જહાજો પર હુમલો કર્યો, કબ્જે કરી ઇરાન લઈ ગયા, એક ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું

  • April 22, 2026 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોર્મુઝની ખાડીમાં ઇરાન દ્વારા ભારતીય જહાજ સહિત બે કોમર્શિયલ વેસેલ્સ પર હુમલો અને તેને જપ્ત કરવાની ઘટનાએ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવ્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જહાજો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી કે જહાજમાં આગ લાગવાની કોઈ ઘટના બની નથી.


મળતી માહિતી મુજબ, જે જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં ભારતીય ધ્વજ ધરાવતું જહાજ 'એપામિનોંડાસ' સામેલ છે. આ જહાજ દુબઈથી રવાના થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. ઇરાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ અને ત્યારબાદ જહાજને કબજે કરવાની આ ઘટનાએ ભારતીય દરિયાઈ વેપાર અને સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. આ સિવાય પનામા અને લાઈબેરિયાના ધ્વજ ધરાવતા જહાજો પર પણ હુમલાના અહેવાલો પ્રાપ્ત થયા છે.


ઘટનાની વિગતો આપતા યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ જણાવ્યું હતું કે, એક IRGC ગનબોટ જહાજની અત્યંત નજીક આવી ગઈ હતી. ત્યારબાદ જહાજ પર અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) વડે હુમલો કરવામાં આવ્યો હતો. લાઈબેરિયન કન્ટેનર જહાજના કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે આ હુમલાને કારણે જહાજના બ્રિજ (નિયંત્રણ કક્ષ) ને નુકસાન પહોંચ્યું છે. ઇરાનના સરકારી મીડિયાએ પણ પુષ્ટિ કરી છે કે જહાજોને કબજે કરીને ઇરાની જળસીમામાં લઈ જવામાં આવ્યા છે.


આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે, કારણ કે હોર્મુઝની ખાડી વિશ્વના તેલ વેપાર માટેનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે આ પ્રકારના હુમલા દરિયાઈ પરિવહન અને વૈશ્વિક સપ્લાય ચેઈન માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આ મામલે સતત નજર રાખી રહ્યા છે, ખાસ કરીને મુંદ્રા આવી રહેલા ભારતીય જહાજ અને તેના પર સવાર કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


નિષ્ણાતોના મતે, આ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં તણાવ વધુ વધી શકે છે. હાલમાં ભારતીય સત્તાધીશો રાજદ્વારી સ્તરે ઇરાન સાથે સંપર્ક સાધી રહ્યા છે જેથી જહાજ અને તેના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે છોડાવી શકાય. આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News