અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મધ્ય પૂર્વ (Middle East) ના આકાશમાં યુદ્ધના વાદળો છવાયા છે. સુરક્ષાના કારણોસર આ વિસ્તારના હવાઈ માર્ગો બંધ કરી દેવામાં આવતા વૈશ્વિક વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3,000થી વધુ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે, જેની સીધી અસર ભારત પર પણ પડી છે.
આકાશી માર્ગો પર 'તાળબંધી'
યુદ્ધની ભયાનકતાને જોતા કુલ 8 દેશોએ પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) સંપૂર્ણ અથવા આંશિક રીતે બંધ કરી દીધું છે. જેમાં ઈરાન, ઈઝરાયેલ અને ઈરાક, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કુવૈત અને જોર્ડન સહિતના દેશોનો સમાવેશ થાય છે.
ભારતીય ફ્લાઈટ્સ પર મોટી અસર
ભારતથી અખાતી દેશો, યુરોપ અને અમેરિકા જતી ફ્લાઈટ્સને આ સંઘર્ષની સૌથી વધુ અસર થઈ છે. એર ઈન્ડિયા અને ઇન્ડિગોની વાત કરીએ તો ભારતીય એરલાઈન્સ જેવી કે એર ઈન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ દ્વારા કુલ 630થી વધુ રૂટ્સ પર ઉડાનો રોકી દેવામાં આવી છે.તેમજ ઇન્ડિગોએ નિર્ણય કરતા જણાવ્યું હતુ કે ઇન્ડિગોએ માત્ર 2 માર્ચ માટે જ 160 ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત લાંબા અંતરની ફ્લાઈટ્સની વાત કરીએ તો એર ઈન્ડિયાએ રવિવારે ભારત-યુરોપ અને ભારત-અમેરિકા વચ્ચેની કેટલીક મહત્વની ફ્લાઈટ્સ રદ કરી છે, કારણ કે ટ્રાન્ઝિટ રૂટ સુરક્ષિત નથી.
મુસાફરોની હાલાકી અને આર્થિક ફટકો
શનિવારે આ પ્રદેશમાં આવતી-જતી 1,800થી વધુ અને રવિવારે 1,400થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે. દુનિયાનું સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ હબ ગણાતું દુબઈ એરપોર્ટ પણ ગંભીર અવરોધોનો સામનો કરી રહ્યું છે. ફ્લાઈટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે અને એરલાઈન્સ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.