ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસતી જતી પરિસ્થિતિની સીધી અસર હવે ભારતના કૃષિ નિકાસ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ખાસ કરીને તાજા ફળ અને શાકભાજીની નિકાસ કરતા વેપારીઓ માટે આ યુદ્ધ આર્થિક સંકટ લઈને આવ્યું છે. મોંઘા દરિયાઈ અને હવાઈ ભાડા, શિપમેન્ટમાં વિલંબ અને માલ બગડી જવાની ભીતિએ નિકાસકારોની ઊંઘ હરામ કરી દીધી છે.
પરિવહન ખર્ચમાં તોતિંગ ઉછાળો અને વિલંબ
યુદ્ધના કારણે એરલાઇન્સ અને શિપિંગ કંપનીઓએ પોતાના દરોમાં ધરખમ વધારો કર્યો છે. યુરોપ માટે વિમાની ભાડામાં 30% થી 40% સુધીનો વધારો થયો છે. પશ્ચિમ એશિયાના અનેક એરપોર્ટ્સ બંધ હોવાથી ઉપલબ્ધ કાર્ગો સ્પેસ માટે પડાપડી થઈ રહી છે. શિપિંગ કંપનીઓએ 'વોર સરચાર્જ' (War Surcharge) ઝીંકી દીધો છે. જે માલ પહેલા 20-25 દિવસમાં પહોંચતો હતો, તેને હવે 40-45 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. સાઉદી અરેબિયા માટે 20 ફૂટના કન્ટેનરનો ભાવ માત્ર 48 કલાકમાં વધીને $2,600 પર પહોંચી ગયો છે.
તાજા ઉત્પાદનો બગડવાનો ભય
પુણેના નિકાસકારોના જણાવ્યા અનુસાર લાંબા ટ્રાન્ઝિટ સમયને કારણે ડુંગળી, કેળા અને અન્ય તાજા શાકભાજી બગડવાની શક્યતા વધી ગઈ છે. યુરોપ અને ગલ્ફ દેશો માટે મોકલેલા કેળા હવે સસ્તા ભાવે સ્થાનિક બજારોમાં વેચવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ચોખાની નિકાસ પર પણ જોખમ
માત્ર શાકભાજી જ નહીં, પણ ભારતીય ચોખાના નિકાસકારો પણ ચિંતામાં છે. ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટ્સ ફેડરેશન મુજબ અંદાજે 4 લાખ ટન ચોખા હાલમાં સમુદ્રમાં રસ્તામાં છે. ઈરાન અને UAE જઈ રહેલા શિપમેન્ટને પરત બોલાવવા અથવા અન્ય બંદરો પર ડાયવર્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. આફ્રિકા તરફ જતા જહાજોમાં અછતને કારણે નિકાસ 20% મોંઘી થઈ છે.
યુદ્ધની આ અનિશ્ચિતતા જો લાંબી ચાલશે, તો વૈશ્વિક બજારમાં ભારતીય કૃષિ ઉત્પાદનોના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની સીધી અસર નિકાસકારોના નફા પર પડશે.