આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી વૈશ્વિક અર્થતંત્રમાં ખલેલ પહોંચી હતી. બજારો ધીમે ધીમે સુધર્યા હોવા છતાં, ઘણી અર્થવ્યવસ્થાઓ હજુ પણ આ મનસ્વી ટેરિફના દબાણનો સામનો કરી રહી છે.
ટ્રમ્પની નીતિની વ્યાપક ટીકા થઈ હતી અને ઘણા દેશોએ અમેરિકા સાથે કરાર કર્યા હતા, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તેમ છતાં, સત્તાવાર ડેટા દર્શાવે છે કે ટેરિફનો ભારતના કુલ નિકાસ પર ખાસ પ્રભાવ પડ્યો નથી.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) ભારતીય નિકાસકારોએ 24 દેશોમાં નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. આ દેશોમાં દક્ષિણ કોરિયા, સંયુક્ત આરબ અમીરાત, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે.
વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રથમ છ મહિનામાં આ 24 દેશોમાં નિકાસ કુલ 129.3 બિલિયન ડોલર થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધારો દર્શાવે છે. આ ભારતની કુલ નિકાસના લગભગ 59 ટકા દર્શાવે છે. બીજી તરફ, યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસમાં ઘટાડો થયો છે, જે મુખ્યત્વે સપ્ટેમ્બરમાં વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા નવા ઊંચા ટેરિફને કારણે છે.
મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની કુલ નિકાસ 3.02 ટકા વધીને 220.12 બિલિયન ડોલર થઈ છે, જ્યારે આયાત 4.53 ટકા વધીને 375.11 બિલિયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ 154.99 બિલિયન ડોલર રહી હતી. જોકે, 16 દેશોમાં ભારતની નિકાસ, જે દેશની કુલ નિકાસના લગભગ 27 ટકા (60.3 બિલિયન ડોલર) છે, તેમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.