ભારતમાં ચોકલેટનું બજાર હવે માત્ર તહેવારો પુરતું મર્યાદિત રહ્યું નથી. યુવા પેઢી, ખાસ કરીને જેન–ઝીમાં ચોકલેટ પ્રત્યે વધતા આકર્ષણ અને પ્રીમિયમ પ્રોડકટસની માંગને કારણે ઉત્પાદકો ઉત્પાદન ક્ષમતા સતત વધારી રહ્યા છે. ઉધોગના અંદાજ મુજબ ભારતનું ચોકલેટ બજાર વર્ષ ૨૦૨૫માં ૨.૪૮ અબજ ડોલરથી વધીને ૨૦૩૦ સુધીમાં ૩.૫૮ અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. આ વૃદ્ધિમાં પ્રીમિયમ ચોકલેટ, સરળતાથી સાથે લઈ જઈ શકાય તેવા નાસ્તા અને યુવા ગ્રાહકોની પસંદગી મુખ્ય કારણો માનવામાં આવે છે.ચોકલેટના વેચાણમાં કન્વિનિયન્સ સ્ટોર્સનો હિસ્સો લગભગ ૬૯ ટકા છે, યારે કુલ ગ્રાહક ખર્ચમાં જેન–ઝીનો ફાળો આશરે ૪૩ ટકા છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને દેશની અગ્રણી ડેરી સહકારી સંસ્થા અમૂલે છેલ્લા એક વર્ષમાં પોતાની ચોકલેટ ઉત્પાદન ક્ષમતા બમણી કરી છે. ઉપરાંત, આણદં નજીકના મોગર સ્થિત પ્લાન્ટમાં વધુ ૨૫ ટકા ક્ષમતા વધારવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતાના જણાવ્યા મુજબ, ચાલુ ત્રિમાસિક ગાળામાં અમૂલની ચોકલેટનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ ૧૦૦ ટકા વધ્યું છે, જે ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. અમૂલ હાલમાં ભારતના ડાર્ક ચોકલેટ સેગમેન્ટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. કંપનીની શુગર–ફ્રી ડાર્ક ચોકલેટ હવે કુલ ચોકલેટ વેચાણમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ધરાવે છે.