રાજકોટમાં ડેંગ્યુની એન્ટ્રી; કમળો-ટાઇફોઇડ ફીફ્ટી તરફ, માવઠું વરસ્યું ત્યાં જ મચ્છરજન્ય રોગચાળાનો ફુંફાડો, પાણીજન્ય રોગચાળો પણ બેકાબૂ

  • May 26, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ચાલુ મે મહિનાના સતત ચોથા સપ્તાહમાં રોગચાળો અણનમ રહ્યો છે, મહાનગરપાલિકા તંત્ર તો પાણીજન્ય રોગચાળા સામે લડવામાં પણ ટૂંકું પડ્યું હતું અને નિષ્ફળ રહ્યું હતું ત્યાં માવઠું વરસ્યા બાદ મચ્છરજન્ય અને ઋતુજન્ય સહિતના રોગચાળાએ ત્રિભેટે આક્રમણ કર્યું છે. વરસાદ વરસતાની સાથે ડેંગ્યુએ ખાતું ખોલાવ્યું છે અને એક કેસ મળ્યો છે, જ્યારે કમળાના વધુ ચાર કેસ સાથે કુલ ૪૯ કેસ અને ટાઈફોઈડના ત્રણ કેસ સાથે કુલ ૪૪ કેસ નોંધાયા છે.


ખરેખર જાહેર કરાયેલા આંકની તુલનાએ દસ ગણા વધુ કેસ 

વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ શહેરમાં ગત પખવાડીયે મેલેરિયાનો એક કેસ મળ્યા બાદ હવે ડેંગ્યુનો એક નોંધાયો છે. તદઉપરાંત પાણીજન્ય રોગચાળો તો ફિફટી ફટકારવા તરફ આગળ વધી રહ્યો છે જેમાં ટાઈફોઈડના વધુ ત્રણ કેસ અને કમળાના વધુ ચાર કેસ મળ્યા છે. આ ઉપરાંત શરદી ઉધરસ ના ૩૫૪ કેસ તાવના ૪૨૩ કેસ અને ઝાડા ઉલટીના ૧૬૩ કેસ મળી એક સપ્તાહમાં વિવિધ પ્રકારના રોગચાળાના કુલ ૯૪૮ કેસ નોંધાયા છે. બીજી બાજુ ખાનગી તબીબી વર્તુળોના મતે મહાપાલિકા તંત્ર એ જાહેર કરેલા રોગચાળાના આંકડા એ હાસ્યસ્પદ છે અને ખરેખર જાહેર કરાયેલા આંકની તુલનાએ દસ ગણા વધુ કેસ છે.


૨૧૮ ઘરોમાં ફોગીંગ કરાયું હતું

વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરીમાં ૨૫,૫૨૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૧૮ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી હતી.


રહેણાંકમાં ૮૪ અને કોર્મશીયલ ૯૫ આસામીને નોટીસ આ૫વામાં આવી

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૮૭ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૮૪ અને કોર્મશીયલ ૯૫ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.


મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે 

તેમણે ઉમેર્યું હતું કે એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application