ઓખામાં તાપી જિલ્લાના બીમાર યુવાનનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ

  • September 28, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના મૂળ રહીશ વિપુલભાઈ સોમાભાઈ પટેલ નામના 38 વર્ષના યુવાન છેલ્લા ત્રણેક દિવસથી બીમાર હોય, તે દરમિયાન તા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓ ઓખા બંદર ખાતે રસ્તામાં પડી જતા તેમને મીઠાપુરની હોસ્પિટલ બાદ દ્વારકાથી વધુ સારવાર અર્થ વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા નહીં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ દિનેશભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ. 42, રહે. તાપી જિલ્લો) એ ઓખા મરીન પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


ખંભાળિયામાં વૃદ્ધાવસ્થાના કારણે સાધુનું મૃત્યુ

ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે કેટલાક સમયથી રહેતા આશરે 65 વર્ષના અજાણ્યા પુરુષ કે જેમનું નામ નરસંગ સાધુ તરીકે કહેવાતું હતું, જે કેટલાક દિવસોથી વૃદ્ધાવસ્થાના કારણે બીમાર હોય, તેમનું ગત તારીખ 26 ના રોજ રેન બસેરા ખાતે મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ફિરોજભાઈ ઉમરભાઈ શેખએ ખંભાળિયા પોલીસને કરતા પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.


વસઈમાં મહિલાને માર મારીને ધમકી આપતો પતિ: ફરિયાદ

દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા વસઈ ગામે રહેતા સાજણબેન ડાડુભાઈ વારસાકીયા નામના 25 વર્ષના મહિલા સાથે બાળક લઈ જવા બાબતે બોલાચાલી કરી, તેણીના પતિ ડાડુ રાણા વારસાકીયાએ ઢીકા-પાટુનો માર મારી, જો તેણી પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.


મીઠાપુર નજીક બાઈક હંકારી જતા તસ્કર

મીઠાપુરથી આશરે 17 કિલોમીટર દૂર નાગેશ્વર વન પાસે રોડની એક સાઇડ પાર્ક કરવામાં આવેલું રૂપિયા 15,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ શામળાસર ગામના કમલદાસ રામકૃષ્ણદાસ રામાનંદીએ મીઠાપુર પોલીસમાં નોંધાવી છે.


ભાણવડમાં વિદેશી દારૂ સાથે વેરાડનો શખ્સ ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

ભાણવડ તાબેના વેરાડ ગામે રહેતા રામદેવસિંહ નટુભા જાડેજા નામના શખ્સને પોલીસે રૂ. 7,200 ની કિંમતની વિદેશી દારૂની 18 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ફતેપુર ગામના ભરત સામત ખોડભાયાનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.


ઓખામાં માછીમાર સામે કાર્યવાહી

ઓખામાં આવેલી કનકાઈ જેટી પાસેથી જામનગર તાલુકાના સિક્કા ગામના અનવર આલીભાઈ રાજા નામના 34 વર્ષના માછીમાર યુવાન સામે પોતાની બોટમાં મંજૂરી સિવાય વધુ ત્રણ માણસોને ખલાસી તરીકે દરિયામાં લઈ જતા જઈને માછીમારી કરતાં આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં અનવર રાજા સામે ગુજરાત ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application