નવાગામ ઘેડમાં ડી.પી. કપાતમાં આવતા ૩૩૧ મકાનધારકોને નોટીસ મળતા ભારે ફફડાટ

  • September 21, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ર૩ થી રપ દરમ્યાન કોર્પોરેશનના પબ્લીક હીયરીંગમાં આ અંગે તડાપીઠ બોલશે


જામનગરમાં ર૪ વર્ષથી બાકી સ્વામી નારાયણનગર-નવાગામ ઘેડથી ગાંધીનગર સુધીના ૧૨ મીટર રોડની ડીપી કપાત કરવા કોર્પોરેશન ૩૩૧ મકાનો તોડી પાડશે. તેથી તમામ મકાનધારકોને મ્યુ. કોર્પો. દ્વારા ‚બ‚ અથવા ઘર ઉપર નોટીસો ચીપકાવીને તા. ૨૩ થી રપ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી જાહેર સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરતા ફફડાટ મચી ગયો છે અને આ પ્રશ્ર્ને ભારે ઉહાપોહ થશે તેમ પણ મનાય છે.

શહેરમાં ગાંધીનગર વિસ્તારથી નવાગામ ઘેડના ખડખડનગર થઈને સ્વામી નારાયણનગર થઈને સ્મશાન પાસે એક ડીપી રોડ કાઢવાની કામગીરી તંત્રએ વર્ષો સુધી કરી નથી. પરિણામે વિસ્તારમાં ક્રમશ: જુદા- જુદા બાંધકામો ખડકાઈ ચુક્યા છે. મુળભુત પ્લાન મુજબ આ વિસ્તારમાં ૩૦ મીટરનો રોડ કાઢવાનો થતો હતો. જેની અમલવારી માટે ૬૦૦થી વધુ લોકોને નોટીસો આપવામાં આવી હતી અને લોકોએ રેલી સ્વ‚પે આવીને ખુબ જ ઉગ્ન રજુઆતો કરી હતી. તંત્રને આવેદનો આપીને આ કામગીરી રોકવા માંગણી કરી હતી. છતાં તંત્ર મક્કમ રહેતા ૨૪૧ નાગરિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અમુક હિયરીંગ બાદ અરજી પાછી ખેંચાઈ હતી. લોકોનો પ્રબળ વિરોધ જોઈને બાદમાં મ્યુ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રોડની સાઈઝ ઘટાડીને ૩૦ માંથી ૧૨ મીટર કરવામાં આવી હતી. જેને કારણે હવે તંત્રએ ઓછા એટલે કે. ૩૩૧ આસામીઓને મકાનો ખાલી કરવા નોટીસ આપીને જુદા-જુદા જુથોને તા. ૨૩, ૨૪ અને રપ સપ્ટેમ્બરના રોજ ફાયર બિગેડના સભા ખંડ ખાતે સુનાવણી માટે બોલાવ્યા છે. જ્યાં લોકો પોતાના વાંધા-સુચનો ડે. કમિશનર, સીટી ઈજનેર, ટીપી ડીપી વિભાગના ઈજનેર સમક્ષ રજુ કરી શકશે.

કોર્પોરેટરોને હાજર રખાવવા જોઇએ


ડીપી કપાતનો પ્રશ્ન વોડ નં.ર અને ૪ના વિસ્તારોને સ્પર્શે છે. તેથી વોડ નં.૪ના મહિલા કોર્પોરેટર રયનાબેન નદાણીયાએ પોતાના વિસ્તારના સોશ્યલ મીડીયાના માધ્યમથી વિવિધ ગ્રુપોમાં વીડોયો શેર કરીને જણાવ્યું છે કે. કોઈપણ પક્ષના કોર્પોરેટર હોય તેને તા. ર૩થી શરું થતા ડીપી કપાતના પબ્લિક હિયરીંગમાં હાજર રાખવા કુળદેવીની આણ આપી છે અને જો કોર્પોરેટરો હાજર ન રહે તો તેને માથે રહીને રાજીનામું દેવડાવવું. તેમ પણ અપીલ કરી છે.

શહેરમાં ૭૧ ડીપી કપાતો થતી નથી, તો નવાગામ નિશાન કેમ ?


શહેરમાં માંડવી ટાવરથી હવાઈ ચોક (સેન્ટ્રલ બેન્ક રોડ). રણજીતનગર ચોકથી જનતા ફાટક, ડીકેવી કોલેજ સર્કલથી ગુરુદતાત્રેય થઈને સરુસેક્શન રોડ કલેક્ટર કચેરી સુધી. ગુલાબનગર નવનાલાથી વિભાપર તેમજ અન્ય સંખ્યાબંધ નાના મોટા ડીપી રોડ ગણીને કુલ ૭૧ ડીપી કપાતોની કામગીરી બાકી છે. છતાં પણ નવાગામ ઘેડને નિશાન બનાવવામાં આવે છે, આ યોગ્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application