દ્વારકામાં પુરાતત્ત્વ ખાતાની મંજૂરી વગર ગેરકાયદે નિર્માણ

  • June 27, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે બાંધકામ અટકાવવા માંગ કરનાર અરજદારને ધમકીઓ મળતા ફોજદારી પગલા લેવા માંગ


યાત્રાધામ દ્વારકામાં શાક માર્કેટ પાસે સિધ્ધનાથ મહાદેવ રોડ પર એક આસામી દ્વારા તેની મિલક્ત જગતમંદિરનાં રક્ષિત સ્મારકની નિશ્વિત અંતર મર્યાદામાં હોવા છતાં પુરાતત્ત્વ ખાતાની મંજૂરી વગર ગેરકાયદે અને કથિત જોખમી નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.જે અંગે પુરાતત્ત્વ વિભાગ દ્વારા નોટીસ પણ પાઠવાઇ છે. ઉપરાંત પાડોશી દ્વારા આ ગેરકાયદે નિર્માણ અટકાવવા સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનાં આરોપ સાથે મામલો પોલીસ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે.


સિદ્ધનાથ મહાદેવ રોડ પર હરીશકુમાર બાબુલાલ ગોકાણી નામનાં આસામીએ પોતાની  જગ્યામાં નવું બાંધકામ આરંભ કરતા મજમુ હકવાળી પાડોશીની દિવાલને નુકસાન થઇ રહ્યું હોવાનાં મુદ્દે બાંધકામ અટકાવવા ધીરેન નરેન્દ્રભાઇ પાડાઇ દ્વારા સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.


દરમ્યાન નિર્માણાધીન ઇમારત જગતમંદિરનાં મંદિર સમૂહોથી નજીક આવેલ હોય રક્ષિત સ્મારકથી નિશ્વિત અંતર મર્યાદામાં ઇમારતનાં સમારકામ કે નિર્માણ માટે પુરાતત્ત્વ ખાતાની મંજૂરી જરુરી હોવા છતા કોઇ મંજૂરી વગર જ નિર્માણકાર્ય થતું હોવાનું પ્રકાશમાં આવતા  પુરાતત્ત્વ ખાતા દ્વારા પણ આસામીને નોટીસ પાઠવાઇ છે.


જે પછી નિર્માણકર્તા હરીશ ગોકાણી દ્વારા અરજદાર પાડોશી ધીરેન પાડાઇને કોઇ વાઘેર શખ્સ દ્વારા જાનથી મારી નાંખવા સુધીની ધમકીઓ આપી અરજી પાછી લેવાનું દબાણ કરવામાં આવ્યું હોવાનાં આરોપ સાથે ધીરેન પાડાઇ દ્વારા આ અંગે ફોજદારી રાહે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.


રહેણાંકની જગ્યામાં કોમર્શિયલ નિર્માણ...?


પુરાતત્ત્વ ખાતાની જરૂરી મંજૂરી વગર બાંધકામ કરવાનાં  ઉપરોકત પ્રકરણમાં આસામી દ્વારા રહેણાંકની જગ્યામાં કોમર્શિયલ બાંધકામ થતું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ પ્રકરણ વધુ સંવેદનશીલ બની જાય છે. તાજેતરમાં થયેલ રાજકોટ અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે કોમર્શિયલ એકમોનાં ફાયર સેફ્ટી સહિતનાં નિયમોની કડક અમલવારી આરંભ કરાવી છે ત્યારે રહેણાંક જગ્યામાં  નિર્માણાધીન ઇમારતનાં કોમર્શીયલ ઉપયોગની સંભાવનાને લઇ સંબંધિત જરુરી મંજૂરીઓનાં મુદ્દે સ્થાનિક તંત્ર ઉપર પણ સવાલ ઉદભવે એવું ચિત્ર ઉપસ્યું છે. જેને પગલે આ પ્રકરણમાં તપાસ થવી ખૂબ જ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application