અયોધ્યા જઇ રહ્યા છો તો રામમંદિર ઉપરાંત આ સ્થળોની પણ મુલાકાત લેવાનું ચૂકશો નહીં

  • January 20, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સમારોહમાં સામેલ થવા માટે દેશભરમાંથી લોકો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે. એટલું જ નહીં તા.22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ પણ અયોધ્યા ખાતે રામ ભક્તોની ભીડ જોવા મળશે. ત્યારે આપને જણાવી દઇએ કે અયોધ્યામાં માત્ર રામમંદિર જ નથી આવેલું બલ્કે અહીં અન્ય સ્થળો પણ આવેલા છે જેની મુલાકાત કરવી જોઇએ.


અયોધ્યા શ્રીરામનું જન્મસ્થળ કહેવાય છે, જે સરયૂ નદીના કિનારે આવેલું છે. જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું કામ શરૂ થયું છે ત્યારથી અહીં પર્યટન મોટા પાયે વિકસી રહ્યું છે. અહીં દરરોજ પ્રવાસીઓની ભીડ વધી રહી છે. પર્યટનની સાથે અહીં રોજગારીની તકો પણ વધી છે. જો તમે પણ આગામી સમયમાં અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ સુંદર શહેરમાં આવેલા સુંદર સ્થળોની મુલાકાત ચોક્કસપણે લેવી જોઈએ. ત્યારે ચાલો જાણીએ અયોધ્યાના એ સ્થળો વિશે.


ત્રેતાના ઠાકુર

ત્રેતા કે ઠાકુર મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, ભરત, સુગ્રીવ સહિત અનેક મૂર્તિઓ છે. આ મંદિર અયોધ્યાના નયા ઘાટ પાસે આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓ કાળી રેતીના પથ્થરમાંથી બનેલી છે. આ મંદિર 300 વર્ષ પહેલા રાજા કુલ્લુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. 1700 ના દાયકામાં મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.


છોટી છાવણી, અયોધ્યા


છોટી છાવનીને વાલ્મીકી ભવન અથવા પીર મણિરામ દાસ છાવની તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અયોધ્યાની ભવ્ય રચનાઓમાંથી એક છે. જો તમે અયોધ્યાની મુલાકાત કરો તો એક વાર આ સ્થળની મુલાકાત કરો, અહીં તમને જૂની ગુફાઓ જોવા મળશે. છોટી છાવણીમાં કુલ 34 ગુફાઓ છે, જેમાં 12 બૌદ્ધ,  કેન્દ્રમાં 17 હિંદુ મંદિરો છે અને ઉત્તરમાં 5 જૈન મંદિરો છે.


તુલસી સ્મારક ભવન

તુલસી સ્મારકની સ્થાપના 16મી સદીના સંત કવિ ગોસ્વામી તુલસીદાસની યાદમાં કરવામાં આવી હતી. આ ભવ્ય સ્થળ પર જ તુલસીદાસજીએ રામચરિતની રચના કરી હતી. આ એક વિશાળ પુસ્તકાલય છે જ્યાં તમને સાહિત્યનો ભંડાર જોવા મળશે. જો તમે પુસ્તકો વાંચવાના શોખીન છો તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીં તમને અયોધ્યાના સાહિત્ય, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વિશે માહિતી મળશે. આ સ્મારક રામાયણ કળા અને હસ્તકલા દર્શાવે છે.


બહુ બેગમ મકબરા કબર

બહુ બેગમના મકબરાને ભૂતપૂર્વ તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગણતરી ફૈઝાબાદના સૌથી ઊંચા સ્મારકોમાં થાય છે. આ મકબરો અવધના પ્રખ્યાત વાસ્તુકલા એટલે કે સ્થાપત્યનું અનોખું પ્રદર્શન છે. તેનું નિર્માણ 1816માં થયું હતું, તે સમયે આ મંદિરની કુલ કિંમત 3 લાખ રૂપિયા હતી. આ મકબરાની ટોચ પરથી સમગ્ર શહેરનો ઉત્તમ નજારો જોઈ શકાય છે.


ગુપ્તાર ઘાટ

આ ઘાટ સરયુ નદીના કિનારે આવેલો છે. જેને ઘગ્ગર ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફૈઝાબાદ પાસે આ એક પ્રખ્યાત સ્થળ છે. અગાઉ ગુપ્તાર ઘાટની સીડીઓ પાસે એક બગીચો જોવા મળતો, પણ હવે તે ગુપ્ત ઘાટ વનના નામે ઓળખાય છે. આ સ્થળ પર ભગવાન રામે ધ્યાન કર્યું અને પછી જલ સમાધિ લીધી, ત્યારબાદ શ્રી રામે વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આપને જણાવી દઇએ કે આ સ્થળે જ તાજેતરમાં ટીવી સિરિયલ રામાયણના રામ, સીતા અને લક્ષ્મણે 'હમારા રામ આયે હૈં' ગીતનું શૂટીંગ કર્યું હતું. જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રિલીઝ થવાનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application