ભારતના જીડીપીમાં સાડા સાત ટકાનો ફાળો આપતા બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી 30મી જૂનથી દરેક કેટેગરીના બાંધકામની કિંમતોમાં 20 ટકાનો વધારો કરવાની ફરજ પડશે. પરિણામે અત્યારે 38 વર્ષની બચત પછી ફ્લેટ લઈ શકનારાઓ મધ્યમ વર્ગના લોકો માટે ફ્લેટ લેવા અત્યંત કઠિન બની જશે. આવનારા વર્ષોમાં 40થી 45 વર્ષની બચત પછી મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકશે. આ સ્થિતિ ન આવે તે માટે સરકારે બાંધકામ ઉદ્યોગની વર્તમાન સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ, એવી નારડેકોના સભાસદ બિલ્ડરો અને હોદ્દેદારોએ માગણી કરી છે.
મંગળવારે નારડેકો ગુજરાત અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત એક મુખ્ય ઉદ્યોગ મેળાવડામાં ડેવલપરોએ આ ચેતવણી આપી હતી. આ કાર્યક્રમમાં ડેવલપર્સ, આર્કિટેક્ટ, એન્જિનિયરો, પ્લાનર્સ અને સર્વેયરોએ જણાવ્યું હતું કે બાંધકામ ખર્ચમાં વધારો, સરકારી કરમાં વધારો અને આયોજન મંજૂરીઓમાં વિલંબ પ્રોજેક્ટ્સને વધુને વધુ ખર્ચાળ અને અમલમાં મૂકવા મુશ્કેલ બનાવી રહ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ, ગ્લાસ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં 20થી માંડીને 40 ટકા જેટલો વધારો થઈ ગયો હોવાથી તેમની પાસે મિલકતના વેચાણભાવ વધારવા સિવાય કોઈ જ ચારો ન હોવાનું જણાવ્યું હતું. આ જ કારણોસર અત્યારે બાંધકામ માટેના ચાલુ પ્રોજેક્ટ વાયેબલ ન રહ્યા હોવાથી તેમને માટે પ્રોજેક્ટ આગળ ધપાવવા કઠિન બની ગયા છે.
બાંધકામ ઉદ્યોગના શ્રમિકોને કરવામાં આવતી ચૂકવણી પર લેવામાં આવતો 18 ટકાનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘટાડીને 5 ટકા કે પછી શૂન્ય ટકા કરી દેવાની માગણી કરવામાં આવી હતી. સરકારે લેબર સેસના એકત્રિત કરેલા રૂ.6700 કરોડમાંથી હજી 500 કરોડ પણ વપરાયા નથી. આ પૈસા ન વપરાય ત્યાં સુધી લેબર સેસ લેવાનું બાકી રાખવી જોઈએ. જ્યારે ટીપી જાહેર કરવામાં દસ 10 વરસનો કરાતો વિલંબ ન થવો જોઈએ તેમજ ટીપી સ્કીમમાં કરવામાં આવતી કપાત 40 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવાની માગણી કરવામાં આવી છે.
નાના શહેરોમાં 20 ટકા કપાતનો નિયમ હતો તે પણ બદલીને 40 ટકા કરી દેવાનો નિર્ણય અનુચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. મંદીનો સમય હોય ત્યારે કપાતની ટકાવારી ઘટાડીને 10 ટકા કરી દેવી જોઈએ. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે દરેક બિલ્ડરોએ એકજૂથ થવું જોઈએ. તેના સિવાય કોઈ વિકલ્પ જ નથી. એક બે જણની રજૂઆતથી દહાડો વળવાનો નથી. સામૂહિક રજૂઆત જ સરકાર પર દબાણ ઊભું કરી શકશે. અત્યારે આપવામાં આવતી 2.7ની એફએસઆઈ વધારીને 4ની કરી આપવી જોઈએ.
બિલ્ડર કે પ્રોજેક્ટ ડેવલપરને આપવામાં આવતી એફએસઆઈ છેલ્લે 1.2થી 1.8ની જ થઈ જાય છે. આ બધામાં ઉદારતા દાખવશે તો મિલકતના ભાવ વધતા અટકાવી શકાશે. એફએસઆઈ ઓછી આપવા માટે તેઓ માળખાકીય સુવિધા પૂરી ન હોવાના કારણ આગળ કરે છે, પરંતુ માળખાકીય સુવિધા ન હોવા છતાંય પેઈડ એફએસઆઈ આપવામાં તેમને કોઈ જ છોછ નડતો નથી. આ બેવડા ધોરણો અધિકારીઓ બંધ કરી દેવા જોઈએ. બીજીતરફ, ડેવલપમેન્ટ પ્લાન પણ જાહેર કરવામાં બહુ જ વિલંબ કરવામાં આવી રહ્યો છે.