જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે
જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે
May 08, 2026 09:15 PM
રાજકોટ કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં અનેક પ્રકારની લોક ઉપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો અહીં આધાર કાર્ડ માટેની કામગીરી શરૂ થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. જરૂરી ડોક્યુમેન્ટ બાબતે આવતા શહેરીજનોના મુખે ચર્ચાએ જોર પકડયું છે કે અહીં કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રોમાં આધાર કાર્ડ માટે કામગીરી શરુ થઈ જાય તો ઘણી રાહત મળી જાય. ભારત દેશમાં આધાર કાર્ડ ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવી રહ્યું છે. રાજકોટના ૧૮ વોર્ડમાં અને મ્યુ. કોર્પોરેશન ખાતે આધાર કાર્ડની કામગીરી સારી રીતે ચાલી રહી છે. પરંતુ આ પ્રકારની કામગીરી રાજકોટ કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં પણ શરુ કરવામાં આવે તેવી ચર્ચાએ લોકમુખે જોર પકડયું છે. છેલ્લે છે લાંબા સમયથી અરજદારોને આધાર કાર્ડની સેવાનો લાભ કલેકટર કચેરીમાં હજુ પણ મળતો નથી. પરિણામે લોકોને અલગ અલગ જગ્યાએ જવુ પડી રહ્યું છે. કલેક્ટર કચેરીનું જન સેવા કેન્દ્ર એવું છે કે ત્યાં તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ અરજદારોને મળે છે, ત્યાં મળતી સેવાઓમાં સાતબારનો દાખલો, આઠ અ, તેમજ આવકનો દાખલો અને વિવિધ જરૂરી દાખલાઓની સાથે સાથે રેશનકાર્ડની પણ કામગીરી અહીંયા જ વઈ જાય છે. ત્યારે જો આધાર કાર્ડની કીટ અહીંયા મૂકવામાં આવે અને એક કાઉન્ટર શરૂ કરવામાં આવે તો જન સેવા કેન્દ્રમાં લોકોને તેનો લાભ મળી શકે તેમ છે. આ પ્રકારની સેવા અહીં શરૂ કરવી જોઈએ તેવી શહેરીજનોના મુખે પણ ચર્ચા સંભળાઈ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય કરી લોકોને વધુ એક સુવિધા આપે તે જરૂરી છે.