માર માર્યાનું કોઇને કહ્યું તો જાનથી મારી નાખીશ: પતિએ આપી ધમકી

  • May 30, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ગોવિંદનગર ગાંધીગ્રામમાં પિયરે રહેતી પરિણીતાએ હરીધવા રોડ પર રહેતા પતિ, સાસુ-સસરા વિરુદ્ધ માનસિક- શારીરિક ત્રાસ આપ્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

હાલ ગોવિંદનગર શેરી નં.૪ ગાંધીગ્રામમાં પિયરના ધરે રહેતી પરિણીતા પાયલ ગૌસ્વામી(ઉ.વ.૨૬) એ ભવનાથ સોસાયટી, શેરી નં. ૨ હરીધવા રોડ પર રહેતા પતિ અમિતગીરી ગૌસ્વામી, સસરા ભૂપતગીરી ગૌસ્વામી અને સાસુ રક્ષાબેન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલા અમિતગીરી ગૌસ્વામી સાથે થયા હતા.લગ્નના થોડા દિવસો બાદ જ નાની નાની વાતોને લઈ સાસરીયા મ્હેણાં ટોણા મારવા લાગ્યા હતા. પરિણીતાએ દીકરીને જન્મ આપતા પતિ પણ ત્રાસ આપવા લાગ્યો હતો અને નાની નાની વાતમાં મનફાવે તેવું બોલવા લાગી મારકૂટ કરતો હતો. સાસુ સસરા કહેતા કે, તું કરિયાવર ઓછો લાવી છો.તારા બાપે કંઇ આપેલ નથી કહી મ્હેણાં ટોણા મારી પરિણીતાના માતા પિતા વિશે ખરાબ બોલતા હતા.

પરિણીતાના પતિને આશરે એક વર્ષ પહેલા સુરતમાં આવેલ એલ.એન. ટી કંપનીમાં નોકરી મળતા પરિણીતા પતિ સાથે છ-સાથ મહિના સુરત રહેલ.ત્યાં પણ જુની વાતોને લઈ પરિણીતા સાથે પતિ ઝઘડો કરી મારકૂટ કરતો હતો. ગત ફેબ્રુઆરી માસમાં પરિણીતાના કાકાના દીકરીના લગ્ન હતા ત્યારે પતિ ઝઘડો કરી મારકૂટ કરી માવતરના ઘરે મૂકી ગયેલ હતો અને ધમકી આપી કે આ મારકૂટ વિશે કોઈને કહ્યું છે તો ઘરે પાછી આવીશ ત્યારે જાનથી મારી નાખીશ અને તારા માતા પિતાને પણ મારી નાખીશ. આથી પરિણીતાએ સાસુ સસરા અને પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને ધમકી આપ્યા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application