હેલ્મેટના ફરજિયાત ચુસ્ત અમલ માટે વધુ એક વખત હાઈકોર્ટનો સરકારને આદેશ

  • October 05, 2024 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત હાઇકોર્ટ હેલ્મેટના મામલે આકરા તેવર દેખાડ્યા છે. લોકોને ઉતાવળ છે. હેલ્મેટ નહિ પહેરનાર વ્યક્તિને 10 થી 15 મિનિટ ઉભા રાખો સમય બગડશે એટલે આપોઆપ હેલ્મેટ પહેરતા થશે અમદાવાદમાં આ પ્રોજેક્ટ પાયલોટ તરીકે લેવાય ત્યારબાદ રાજ્યના અન્ય શહેરોમાં અમલ કરવામાં આવે તેવી કડક હિદાયત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં પોલિટેક્નિકથી આઈઆઈએમ બનતા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવેલ હતી. જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજીના વિષયને વિસ્તૃત કરી તેમાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ કરી દીધો હતો. જેમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, હેલ્મેટ ફરજિયાત કર્યું હોવા છતાં કોઈ નિયમોનું પાલન નથી કરતાં. ચીફ જસ્ટિસે ખુદ ફોનમાં ફોટા પાડ્યા હતાં. જેમાં ત્રણ-ચાર લોકોને બાદ કરતાં કોઈએ હેલ્મેટ પહેર્યાં ન હતા. જેને લઈને ચીફ જસ્ટિસે કડક વલણ અપ્નાવ્યું હતું.

હવે હેલ્મેટ વગર નીકળ્યા તો આકરો દંડ ભરવાની સાથે-સાથે લાયસન્સ રદ થવા અને સરકારી કર્મચારી સામે ખાતાકીય તપાસ સહિત નોકરી આનુષાંગિક બાબતોમાં તકલીફ પડી શકે છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા છે. હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઇકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઈકોર્ટ પણ કાર્યવાહી કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે, આજના સમયમાં બધાને ઉતાવળ હોય છે, એટલે હેલ્મેટ ન પહેરે તેને પકડીને 15 થી 20 મિનિટ સુધી ઉભા રાખો. સમય બગડશે અને ઓફિસમાં ઠપકો મળશે, તો મગજમારીથી બચવા હેલ્મેટ પહેરશે. અમદાવાદમાં આ સૂચનનું પાયલોટ પ્રોજેક્ટની જેમ પાલન કરવામાં આવે, બાદમાં બીજા શહેરોમાં પણ આ રીતે કામગીરી હાથ ધરવામાં આવે.કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં હેલ્મેટ વગર કોઈ ટૂ-વ્હીલરચાલક જોવા ન મળે. જો દિલ્હીમાં આ રીતે નિયમોનો ભંગ થાય તો અફરાતફરી મચી જાય. અરજદારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 7 થી 8 વર્ષ પહેલાં હેલ્મેટ ફરજિયાત કરાયું હતું, પરંતુ પછી એ વખતના મુખ્યમંત્રીની જાહેરાત કરી હતી કે, તેનો અમલ ન કરાય એવી લોકોની માગ છે. હેલ્મેટ નિયમ મોટર વ્હીકલ એક્ટનો છે, એ કેન્દ્ર સરકારનો કાયદો છે.

કોર્ટે નિર્દેશ આપ્યા કે, સવારે 10:30 થી 11 કલાકના ઓફિસર કલાકમાં રોડ ઉપર ચેક પોસ્ટ રાખવામાં આવે અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા ટૂ-વ્હીલરચાલકોને રોકી રાખવામાં આવે. જેથી, ઓફિસમાં પણ તેમને મોડા પડવાના કારણે ઠપકો મળે તે માટે સવારે ઓફિસ કલાકોમાં રોડ ઉપર ચેક પોસ્ટ રાખવામાં આવે. હાઈકોર્ટના તમામ સ્ટાફ માટે પણ હેલ્મેટ પહેરવા માટે નિયમ લવાશે અને જો કોઈ હેલ્મેટ વિના પકડાય તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે તે દરેક સંસ્થાને પણ જાણ કરશે કે તેમના ત્યાં આવતા કર્મચારી ફરજિયાતપણે હેલ્મેટ પહેરે. દંડ અને કેસ કરવાથી કોઈ ફેર પડતો નથી.હાઇકોર્ટના આવા વલણથી સરકાર આવતા દિવસોમાં હેલ્મેટનું કાયદો કડક રીતે અમલ કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય એટલે પ્રજાજનોએ હેલ્મેટ પહેરવા માટે તૈયાર રહેવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application