અહીં ભગવાન શિવજીને ભક્તો ચઢાવે છે ગોળ, મરી અને મીઠું, જાણો શું છે ઇતિહાસ

  • August 15, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ગામથી માત્ર ત્રણ કિમીના અંતરે બોરિયાવી ગામમાં મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જે મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે. મંદિરમાં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. અહીંયા શરીરના કોઈપણ ભાગે મસા થયા હોય અથવા તો કોઈ પણ જાતનો ચામડીનો રોગ હોય તો માનતા રાખવાથી મટી જતો હોય છે જેના બદલામાં ભક્તો ગોળ, મરી તેમજ મીઠું ચડાવે છે.


મહાદેવની બાધા રાખવાથી મસો મટતો હોવાની શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આ મંદિરમાં શિવ પરિવાર નથી, માત્ર શિવજી એક જ છે. આ ઉપરાંત અહીંયા શિવજીનું જે શિવલિંગ છે એનો આકાર નથી અને ત્યાંના શિવલિંગ ઉપર અઢળક મસા જેવી આકૃતિઓ રહેલી છે, જેના કારણે અહીંના મંદિરને મસિયા મહાદેવનું મંદિર કહેવામાં આવે છે.



મસિયા મહાદેવ બોરીયાવી મંદિરના ટ્રસ્ટી ચૌધરી મફતલાલ જણાવે છે કે, આ મંદિરનો ઇતિહાસ અંદાજે 500 વર્ષ જૂનો છે. લોકવાયકા પ્રમાણે ઘણાં વર્ષો પહેલાં ગામની પશ્ચિમે 6 કિલોમીટર દૂર આવેલા ખારા ગામના મઢ (ટેકરી)ના મહંતની ઘોડીને મસો થયો હતો, જે મટતો ન હોવાથી મહંત ચિંતિત રહેતા હતા. આ દરમિયાન એક રાત્રે મહંતને સ્વપ્ન આવ્યું કે, બોરિયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણામાં એક આંબલી છે, એની નીચે કંથેરનું ઝાડું અને ઉકરડો છે. એ જગ્યા સાફ કરાવી મીઠાની ગૂણ ચડાવજો, જેથી ઘોડીને મસો મટી જશે. જેથી મહંતે દ્રઢ વિશ્વાસથી બોરિયાવી ગામ આવી આંબલી નીચેની જગ્યા સાફ કરાવી હતી.




ખોદતી વખતે મહંતને કોદાળી વાગતાં લોહીની ધારા નીકળી હતી અને સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારે શિવલિંગની સ્થાપના કરી લોકો ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. મસિયા મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની ગામેગામ વાતો થવા લાગી હતી, જેથી લોકો બાધા રાખવા લાગ્યા હતા. ભક્તોની આસ્થાથી મસા જેવા રોગ દૂર થવા લાગ્યા હતા.



મસાની તકલીફ દૂર થનાર એક ભક્ત સથવારા સુરેશભાઈ જણાવે છે કે, તેઓને છેલ્લા બે વર્ષથી મસાની તકલીફ હતી. દૂર થઈ છે અને તેઓ મરી ચઢાવવા માટે આવેલા છે, અગાઉ પણ તેમની પત્નીને આવી તકલીફ હતી અને ગોળ ચડાવાથી આ તકલીફ દૂર થઈ હતી. દર સોમવારે અહીં મેળો ભરાય છે. તેમજ શ્રાવણ અમાસે અહીં ગામમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારો ભાવિ ભક્તો આજુબાજુનાં ગામોમાંથી ઊમટી પડે છે. આ ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application