BREAKING NEWS

ગુજરાત પર એકસાથે 5 સિસ્ટમ સક્રિયઃ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું

  • July 02, 2026 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસું હવે આક્રમક મૂડમાં આવી ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક આકાશી આફત તૂટી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, ગુજરાતના વાતાવરણમાં એકસાથે ૫ શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમો એકસાથે સક્રિય થવાના કારણે આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં હવામાન વિભાગ દ્વારા ૮ જુલાઈ સુધી અલગ-અલગ વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આજે (૨ જુલાઈ): સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 'રેડ એલર્ટ'
ચોમાસાની આ ભયાનક સ્થિતિ વચ્ચે આજે, ૨ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને પોરબંદર જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું છે. બીજી તરફ રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આશંકા સાથે 'ઓરેન્જ એલર્ટ' તથા દેવભૂમિ દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

આવતીકાલે (૩ જુલાઈ): આ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા
આવતીકાલે પણ મેઘતાંડવ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આકાશી આફત વરસવાની શક્યતાને પગલે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જેવા દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં 'યલો એલર્ટ' સાથે મુસળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

તંત્ર એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાનની આ તોફાની આગાહીને પગલે ગુજરાત સરકારનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (NDRF-SDRF) એક્શન મોડમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોને સાવધ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયામાં સર્જાયેલા ભારે કરંટ અને સાયક્લોનિક સિસ્ટમને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સખત તાકીદ કરવામાં આવી છે. અતિભારે વરસાદની આ ચેતવણી વચ્ચે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક વહીવટી તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application